________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમું પર્વ
૧૭૧ સપ્તકોણ મહેલ ઉપર ચડી, ઝરૂખામાં મોતીના પડદા પાછળ છુપાઈને બેઠા. પવનંજયકુમારે અંજનાસુંદરીને જોઈ. જેનું મુખ પૂનમના ચંદ્ર સમાન છે, મુખની જ્યોતિથી દીપકની
જ્યોતિ ઝાંખી પડે છે, નેત્ર શ્યામ, શ્વેત અને અરુણ એમ ત્રિવિધ રંગસહિત હોવાથી મહાસુંદર છે, જાણે કામનાં બાણ જ છે, કુચ શૃંગારરસ ભરેલા કળશ છે, હસ્ત નવીન કૂંપળ સમાન લાલ છે, નખની કાંતિ લાવણ્યને પ્રગટ કરતી શોભે છે, કટિ અતિનાજુક છે એ કુચોના ભારથી જાણે ભાંગી જતી હોય તેવી શંકાથી જાણે ત્રિપલીરૂપ દોરીથી બાંધેલી છે, તેની જાંધ કેળના થડથીય વધુ કોમળ છે, જાણે કે કામના મંદિરના સ્તંભ જ છે, તે કન્યા ચાંદની રાત જ છે. પવનંજયકુમાર નેત્ર એકાગ્ર કરી, અંજનાને સારી રીતે જોઈ સુખી થયા. તે જ સમયે વસંતતિલકા નામની અંજનાની મહાબુદ્ધિમતી સખી કહેવા લાગી હે સુરુપે ! તું ધન્ય છે કે તારા પિતાએ તને વાયુકુમારને આપી. વાયુકુમાર મહાપ્રતાપી છે. તેના ગુણ ચંદ્રમાનાં કિરણ સમાન ઉજ્જવળ છે. તેમનાં ગુણો વિષે સાંભળીને અન્ય પુરુષના ગુણ મંદ ભાસે છે. જેમ સમુદ્રમાં લહેર રહ્યું તેમ તું તે યોદ્ધાના અંગમાં રહીશ. તું મામિષ્ટભાષી, ચંદ્ર અને રત્નની કાંતિને જીતનારી, તું રત્નની ધરા રત્નાચળ પર્વતના તટ પર પડી છે, તમારો સંબંધ પ્રશંસાયોગ્ય થયો છે તેનાથી બધાં જ કુટુંબીજનો રાજી થયાં છે. સખીએ જ્યારે આ પ્રમાણે પતિના ગુણ વર્ણવ્યા ત્યારે તે લજ્જાથી ભરેલી પગના નખ તરફ જોવા લાગી, આનંદરૂપ જળથી તેનું હૃદય ભરાઈ ગયું અને પવનંજયકુમાર પણ અત્યંત હર્ષ પામ્યા.
તે વખતે એક મિશ્રકેશી નામની બીજી સખીએ હોઠ દાબીને, મસ્તક હલાવીને કહ્યું કે, અહો. તારે અજ્ઞાન મોટું છે! તે પવનંજય સાથેના સંબંધની પ્રશંસા કરી. પણ જો વિધુતપ્રભકુંવર સાથે સંબંધ થયો હોત તો અતિશ્રેષ્ઠ હતું. જો પુણ્યના યોગથી વિધુતપ્રભ કન્યાનો પતિ થયો હોત તો આનો જન્મ સફળ થાત. હે વસંતમાલા! વિધુતપ્રભ અને પવનંજયમાં સમુદ્ર અને ખાબોચિયા જેટલો તફાવત છે. વિધુતપ્રભની કથા મોટા મોટા માણસોનાં મુખે સાંભળી છે. જેમ મેઘનાં બુંદોની સંખ્યા નથી તેમ તેનાં ગુણોનો પાર નથી. તે નવા યૌવનવાળો, મહાસૌમ્ય, વિનયવાન, દેદીપ્યમાન, પ્રતાપવાન, ગુણવાન, રૂપવાન, વિદ્યાવાન, બળવાન, સર્વ જગતને દર્શનીય છે, બધા એમ જ કહે છે આ કન્યા તેને જ આપવા જેવી હતી, પણ કન્યાના બાપે સાંભળ્યું કે તે થોડા જ વર્ષમાં મુનિ થઈ જવાનો છે તેથી સંબંધ ન કર્યો, તે ઠીક ન કર્યું વિદ્યુતપ્રભનો એક ક્ષણમાત્રનો પણ ભલો અને તુચ્છ પુરુષનો સંયોગ ઘણા કાળનો હોય તો પણ શા કામનો ? આ વાત સાંભળીને પવનંજય ક્રોધરૂપ અગ્નિથી પ્રજ્વલિત થયા, ક્ષણમાત્રમાં બીજું જ રૂપ બની ગયું. રસમાંથી વિરસ આવી ગયો, આંખો લાલ થઈ ગઈ, હોઠ કરડીને તલવાર મ્યાનમાંથી કાઢીને મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે આને મારી નિંદા ગમે છે. આ દાસી આવાં નિંદાના વચનો બોલે છે અને આ સાંભળે છે. માટે આ બન્નેનાં મસ્તક કાપી નાખું. વિધુતપ્રભ એના હૃદયનો પ્યારો છે તે કેવી રીતે સહાય કરશે. પવનંજયના આ વચન સાંભળીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com