________________
૧૫૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
ચૌદમું પર્વ પ્રાણીઓને પોતાનું શરીર વહાલું હોય છે એમ જાણી સર્વ જીવો પ્રત્યે દયા રાખવી. ભગવાને જીવદયાને જ ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. જે નિર્ભય બની જીવને હણે છે તેને સંચમાત્ર પણ ધર્મ નથી. પરજીવને પીડા થાય તેવું વચન બોલવું નહિ. પરને બાધા કરનાર વચન તે જ મિથ્યા છે અને પરને ઉપકારરૂપ વચન તે જ સત્ય છે. જે પાપી ચોરી કરે, બીજાનું ધન હરે છે તે આ ભવમાં વધબંધનાદિ દુ:ખ પામે છે, કુમરણ કરે છે અને પરભવમાં નરકમાં પડે છે, નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. ચોરી દુઃખનું મૂળ છે માટે બુદ્ધિમાન પુરુષ કદી પણ પારકું ધન હરતો નથી. જેનાથી બન્ને લોક બગડે તેવું કામ કેવી રીતે કરે? પરસ્ત્રીને સર્પ સમાન જાણીને તેનો દૂરથી જ ત્યાગ કરવો. આ પરસ્ત્રી કામલોભને વશ થયેલ પુરુષનો નાશ કરે છે. સાપણ એક ભવમાં જ પ્રાણ હરે છે, પરનારી અનંત ભવ પ્રાણ હરે છે. જીવ કુશીલના પાપથી નિગોદમાં જાય છે ત્યાં અનંત જન્મમરણ કરે છે અને આ ભવમાં પણ મારન, તાડન આદિ અનેક દુઃખ પામે છે. આ પરદારાસંગમ નરક નિગોદના દુસહ દુઃખો આપે છે. જેમ કોઈ પરપુરુષ પોતાની સ્ત્રીને ભોગવે તો પોતાને અત્યંત દુઃખ ઉપજે છે તેવી જ રીતે બધાની વ્યવસ્થા જાણવી. પરિગ્રહની મર્યાદા કરવી. અધિક તૃષ્ણા ન કરવી. જો આ જીવ ઇચ્છા રોકે નહિ તો મહાદુઃખી થાય છે. આ તૃષ્ણા જ દુઃખનું મૂળ છે. તૃષ્ણા સમાન બીજી વ્યાધિ નથી. આના વિશે એક કથા સાંભળો. બે પુરુષો હતા. એકનું નામ ભદ્ર, બીજાનું નામ કાંચન. ભદ્ર ફળાદિ વેચતો. તેને એક સોનામહોર જેટલા પરિગ્રહની મર્યાદા હતી. એક દિવસ તેના માર્ગમાં દીનારોની કોથળી પડેલી તેણે જઈ. તેમાંથી તેણે કૌતુહલથી એક દીનાર લીધી. બીજો જે કાંચન હતો તેણે આખી કોથળી જ ઉપાડી લીધી. તે દીનારનો માલિક રાજા હતો. તેણે કાંચનને થેલી ઊઠાવતો જોઈને ખૂબ માર્યો અને ગામમાંથી હાંકી કાઢયો. ભદ્ર જે એક દીનાર લીધી હતી તે રાજાને માગ્યા વિના જ આપી દીધી. રાજાએ ભદ્રનું ખૂબ સન્માન કર્યું. આમ જાણીને તૃષ્ણા ન કરવી. સંતોષ રાખવો. આ પાંચ અણુવ્રત છે.
ચાર દિશા, ચાર વિદિશા, એક નીચે અને એક ઊંચે; એમ દશેય દિશાઓનું પરિમાણ કરવું કે આ દિશામાં આટલે દૂર જઈશ, આગળ નહિ જાઉં. અપધ્યાન એટલે ખોટું ચિંતવન, પાપોપદેશ એટલે અશુભ કાર્યનો ઉપદેશ, હિંસાદાન એટલે વિષ, ફાંસી, લોઢાનાં ખડ્યાદિ શસ્ત્ર, ચાબૂક ઇત્યાદિ જીવોને મારવાના સાધનો કોઈને આપવાં, જળ, દોરડાં વગેરે બંધનનાં સાધનોનો વ્યાપાર કરવો. કૂતરા, બિલાડા, ચિત્તા વગેરે પાળવાં, કુશાસ્ત્રો સાંભળવાં, પ્રમાદચર્યા એટલે પ્રમાદથી છ કાયના જીવોની વિરાધના કરવી; આ પાંચ પ્રકારના અનર્થદંડોનો ત્યાગ કરવો અને ભોગ એટલે આહારાદિક, ઉપભોગ એટલે
સ્ત્રી, વસ્ત્રાભૂષણાદિકની મર્યાદા કરવી તથા અભક્ષ્ય ભક્ષણાદિ, પદારા સેવનાદિ અયોગ્ય વિષયોનો સર્વથા ત્યાગ અને યોગ્ય આહાર, સ્વદારા-સેવનાદિના નિયમરૂપ પરિમાણ-એ ભોગોપભોગ પરિસંખ્યા વ્રત છે. આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક એટલે સમતાભાવ, પંચપરમેષ્ઠી, જિનધર્મ, જિનવચન, જિનપ્રતિમા, જિનમંદિરની સ્તુતિ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com