________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८०
સપ્તમ પર્વ
પદ્મપુરાણ અતિદઢ, મહાદયાવાન, સત્યવચનના અનુરાગી બન્ને થશે. તે બન્નેને એવો જ સામ્ય કર્મનો ઉદય છે. હું કોમળ ભાષિણી ! હૈ દયાવતી! પ્રાણી જેવાં કર્મ કરે છે તેવું જ શરીર ધારણ કરે છે; એમ કહીને તે બેય રાજારાણી જિનેન્દ્રની મહાપૂજા કરવા ગયા. તે બન્ને રાતદિવસ નિયમધર્મમાં સાવધાન છે.
ત્યાર પછી પ્રથમ જ ગર્ભમાં રાવણ આવ્યો ત્યારે માતાની ચેષ્ટા કાંઈક ક્રૂર થતી ગઈ. તેને એવી ઈચ્છા થઈ કે વેરીઓનાં શિર ઉપર પગ મૂકું, રાજા ઇન્દ્ર ઉપર આજ્ઞા ચલાવું. વિના કારણે ભ્રમ૨ વક્ર કરવી, કઠોર વાણી બોલવી એવી ચેષ્ટા તેને થઈ. શરીરમાં ખેદ નથી, દર્પણ હાજર હોવા છતાં ખડ્ગમાં મુખ જોવું, સખીઓ પ્રત્યે ખિજાઈ જવું, કોઈની બીક ન રાખવી, એવી ઉદ્ધત ચેષ્ટા થવા લાગી. નવમા મહિને રાવણનો જન્મ થયો. જે સમયે પુત્ર જન્મ્યો તે વખતે શત્રુઓના આસન કંપી ઊઠયા. સૂર્ય જેવી કાંતિવાળા બાળકને જોઈને પરિવારના લોકોના નેત્ર ચકિત થયા. દેવદુંદુભી વાજા વાગવા લાગ્યા. શત્રુનાં ઘરોમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. માતાપિતાએ પુત્રના જન્મનો અતિહર્ષ કર્યો. પ્રજાના સર્વ ભય મટી ગયા. પૃથ્વીનો પાલાક જન્મ્યો. રત્નશ્રવાએ ઘણું દાન આપ્યું. પહેલાં એમના વડીલ જે રાજા મેઘવાહન રાજા થયા હતા તેમને રાક્ષસોના ઇન્દ્ર ભીમે હા૨ આપ્યો તો તેની હજાર નાગકુમાર દેવ રક્ષા કરતા હતા. તે હાર પાસે પડયો હતો તે પ્રથમ દિવસે જ બાળકે ખેંચી લીધો. બાળકની મુઠ્ઠીમાં હાર જોઈને માતા આશ્ચર્ય પામી અને અત્યંત સ્નેહથી બાળકને છાતીએ ચાંપ્યો, માથું ચૂમ્યું અને પિતાએ હાર સહિત બાળકને જોઈને મનમાં વિચાર્યું કે આ કોઈ મહાપુરુષ છે, હજાર નાગકુમાર જેની સેવા કરે છે એવા હાર સાથે તરત જન્મેલો બાળક ક્રીડા કરવા લાગ્યો. આ સામાન્ય પુરુષ નથી. આની શક્તિ બધા મનુષ્યોને ઓળંગી જશે. પહેલાં ચારણ મુનિઓએ મને કહ્યું હતું કે તારે ત્યાં પદવીધર પુત્ર જનમશે. આ પ્રતિવાસુદેવ શલાકા પુરુષ પ્રગટ થયા છે. હારના યોગથી પિતાને પુત્રના દસમુખ દેખાયા તેથી તેનું નામ દશાનન પાડયું. પછી થોડા વખતે કુંભકર્ણનો જન્મ થયો, જેનું તેજ સૂર્ય સમાન હતું. ત્યારપછી કેટલાક કાળે પૂર્ણમાસીના ચન્દ્ર સમાન મુખવાળી ચન્દ્રનખા બહેન જન્મી અને પછી વિભીષણનો જન્મ થયો. તે મહાસૌમ્ય, ધર્માત્મા, પાપકર્મથી રહિત, જાણે સાક્ષાત્ ધર્મે જ દેહ ધારણ કર્યો હતો. જો કે જેના ગુણોની કીર્તિ જગતમાં ગવાય છે એવા દશાનનની બાલક્રીડા દુષ્ટોને ભયરૂપ થતી અને બન્ને નાના ભાઈઓની ક્રીડા સૌમ્યરૂપ થતી. કુંભકર્ણ અને વિભીષણ બન્નેની વચ્ચે ચન્દ્રનખા સૂર્યચન્દ્રની વચ્ચે સન્ધ્યા સમાન શોભતી હતી. રાવણ બાલ્યાવસ્થા વીતાવીને કુમારાવસ્થામાં આવ્યો. એક દિવસ રાવણ પોતાની માતાની ગોદમાં બેઠો હતો. તેના દાંતની કાંતિથી દશે દિશામાં ઉદ્યોત થતો હતો, તેના મસ્તક ઉપર ચૂડામણિ રત્ન ધારણ કરેલું હતું. તે વખતે વૈશ્રવણ આકાશમાર્ગે જઈ રહ્યો હતો રાવણની ઉપર થઈને નીકળ્યો. પોતાની કાંતિથી પ્રકાશ કરતો, વિદ્યાધરોથી યુક્ત, મહાન વૈભવનો સ્વામી, મેઘ સમાન અનેક હાથીઓનો સમૂહ જેમના મદની ધારા વરસતી હતી, જેમની વીજળી સમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com