________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બીજું પર્વ
- ૧૫ પણ સ્વયે નમ્ર બની ગયા હતા અને હાથી, ઘોડા, રત્ન, રથ વગેરે અનેક પ્રકારની ભેટ આપી ગયા હતા. પોતાના છત્ર, ચામર, વાહનાદિમાંથી નીચે ઊતરી હાથ જોડી દીન બનીને તેમના પગમાં પડ્યા હતા. જુદા જુદા દેશમાંથી લોકો આવીને અહીં વસ્યા હતા. પરંતુ તે ભગવાનનું ચિત્ર ભોગોમાં લીન થયું ન હતું. જેમ સરોવરમાં કમળ જળથી નિર્લેપ રહે છે તેમ ભગવાન જગતની માયાથી અલિપ્ત રહ્યા હતા. સ્વયંબુદ્ધ ભગવાન જગતની માયાને વીજળીના ચમકારા જેવી ચંચળ જાણીને વિરક્ત થયા હતા ત્યારે લૌકાંતિક દેવોએ આવી તેમની સ્તુતિ કરી હતી. ભગવાને મુનિવ્રત ધારણ કરી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી. ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. તે કેવળજ્ઞાન સમસ્ત લોકાલોકનું પ્રકાશક છે. એવા કેવળજ્ઞાનના ધારક ભગવાને જગતના ભવ્ય જીવોના હિત માટે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. તે ભગવાન મળરહિત, પરસેવારહિત છે. તેમનું રુધિર ક્ષીર સમાન છે, શરીર સુગંધી છે, તેમાં શુભ લક્ષણો, અતુલ બળ, મિષ્ટ વચન, સમચતુર્સસ્થાન, વજાર્ષભનારા સંહનનના ધારક છે, તેમનો વિહાર થાય છે ત્યારે ચારે દિશાઓમાં દુષ્કાળ પડતો નથી, સકળ ઇતિ ભીતિનો અભાવ થઇ જાય છે. તેઓ સર્વ વિદ્યાના પરમેશ્વર છે, તેમનું શરીર નિર્મળ સ્ફટિક સમાન છે. આંખો પલક મારતી નથી, તેમને નખકેશની વૃદ્ધિ થતી નથી, સર્વ જીવોમાં મૈત્રીભાવ રહે છે, શીતળ, મંદ, સુગંધી વાયુ વાય છે, છ ઋતુઓનાં ફળફૂલ ફળે છે, ધરતી દર્પણ સમાન નિર્મળ બની જાય છે, પવનકુમાર દેવો એક યોજન સુધીની જમીનને તૃણ, પાષાણ, કંટકાદિથી, રહિત કરે છે અને મેઘકુમાર દેવો ઘણા ઉત્સાહથી ગંધોદકની વૃષ્ટિ કરે છે ભગવાનના વિહાર સમયે દેવો તેમનાં ચરણ તળે સુવર્ણમય કમળોની રચના કરે છે, ચરણોને ભૂમિનો સ્પર્શ થતો નથી, આકાશમાં જ ગમન કરે છે, પૃથ્વી ઉપર છ યે ઋતુઓનાં સર્વ ધાન્ય નીપજે છે. શરદ ઋતુના સરોવર જેવું આકાશ નિર્મળ બની જાય છે. દશે દિશાઓ ધૂમ્રાદિરહિત નિર્મળ બને છે. સૂર્યના તેજને ઝાંખુ પાડે એવું સહસ્ત્ર આરાયુક્ત ધર્મચક્ર ભગવાનની આગળ આગળ ચાલે છે. આ પ્રમાણે આર્યખંડમાં વિહાર કરતાં કરતાં શ્રી મહાવીર સ્વામી વિપુલાચલ પર્વત ઉપર આવીને બિરાજ્યા છે. તે પર્વત ઉપર નાના પ્રકારનાં જળના ઝરણાં વહી રહ્યાં છે. તેમનો અવાજ મનનું હરણ કરે છે.
ત્યાં વેલીઓ અને વૃક્ષો શોભી રહ્યાં છે. ત્યાં જાતિવિરોધી પ્રાણીઓએ પણ વેરભાવ છોડી દીધો છે. પક્ષી ગાન કરી રહ્યા છે, શબ્દોથી પહાડ ગુંજી રહ્યો છે, ભમરાઓના ગુંજારવથી પહાડ ગાન કરી રહ્યો છે, સઘન વૃક્ષોની નીચે હાથીઓના સમૂહ બેઠા છે, ગુફાઓમાં સિંહ બેઠા છે. જેવા કૈલાસ પર્વત ઉપર ઋષભદેવ ભગવાન વિરાજતા હતા તેવી જ રીતે વિપુલાચલ પર્વત ઉપર શ્રી વર્ધમાન સ્વામી વિરાજે છે.
જ્યારે શ્રી ભગવાન સમોસરણમાં કેવળજ્ઞાન સહિત બિરાજમાન થયા ત્યારે ઇન્દ્રનું આસન કંપાયમાન થયું અને ઇન્દ્ર જાણ્યું કે ભગવાન કેવળજ્ઞાન સહિત બિરાજે છે, હું જઇને તેમની વંદના કરું તેથી ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર ચડીને આવ્યા. તે હાથી શરદઋતુના વાદળા સમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com