________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ
૨૮૩ અજ્ઞાનરૂપ પર્વત પરથી નીકળેલી, સંસારરૂપ સમુદ્રમાં તેનો પ્રવેશ છે. હવે હું આ ભવનદીને ઓળંગીને શિવપુરી જવાને ઉધમી થયો છું. મોહથી પ્રેરાયેલા કાંઈ નકામાં બોલશો નહિ, સંસારસમુદ્ર તરીને નિર્વાણદીપ જતાં મને અંતરાય ન કરશો. જેમ સૂર્યનો ઉદય થતાં અંધકાર રહેતો નથી તેમ સમ્યજ્ઞાન થતાં સંશયતિમિર ક્યાં રહે? માટે મારા પુત્રને રાજ્ય આપો, હમણાં જ પુત્રનો અભિષેક કરાવો, હું તપોવનમાં પ્રવેશ કરું છું. આ વચન સાંભળી મંત્રીઓ અને સામંતો રાજાનો વૈરાગ્યનો નિશ્ચય જાણી અત્યંત શોકાતુર થયા. તેમનાં મસ્તક નીચે ઢળી ગયાં, આંખો અશ્રુપાતથી ભરાઈ ગઈ, આંગળીથી જમીન ખોતરતાં ક્ષણમાત્રમાં પ્રભારહિત થઈ ગયા. મૌનપણે બેસી રહ્યા. આખો રણવાસ પ્રાણનાથનો નિગ્રંથ વ્રતનો નિશ્ચય સાંભળી શોક પામ્યો. અનેક વિનોદ કરતા હતા તે છોડીને આંસુઓથી આંખો ભરાઈ ગઈ અને મહારુદન કર્યું. ભરત પિતાના વૈરાગ્યની વાત સાંભળી પોતે પણ પ્રતિબોધ પામ્યા, મનમાં ચિંતવવા લાગ્યા કે અહો! આ સ્નેહનું બંધન છેદવું કઠણ છે. અમારા પિતાજી જ્ઞાન પામ્યા, જિનદીક્ષા લેવા ઈચ્છે છે. હવે એમને રાજ્યની શી ચિંતા હોય? મારે તો ન કોઈને કાંઈ પૂછવાનું છે કે ન કાંઈ કરવાનું છે. હું તપોવનમાં પ્રવેશ કરીશ, સંયમ ધારણ કરીશ. તે સંયમ સંસારના દુઃખોનો ક્ષય કરે છે, અને મારે આ દેહથી શી લેવાદેવા છે? આ દેહ તો વ્યાધિનું ઘર છે, વિનશ્વર છે, જો દેહથી મારો સંબંધ નથી તો બાંધવો સાથે સંબંધ કેવો? આ બધા પોતાના કર્મફળના ભોક્તા છે, આ પ્રાણી મોહથી અંધ છે, સંસારવનમાં એકલો જ ભટકે છે કે જે વન અનેક ભવભયરૂપ વૃક્ષોથી ભરેલું છે.
સકળ કળાની જાણનારી કૈકેયી ભરતની આ ચેષ્ટા જોઈને ખૂબ શોક પામી. મનમાં વિચારવા લાગી કે પતિ અને પુત્ર બન્નેય વૈરાગ્ય ધારણ કરવા ઈચ્છે છે, કયા ઉપાયથી એમને રોકું? આવી ચિંતાથી જેનું મન વ્યાકુળ છે એવી કૈકેયીને યાદ આવ્યું કે રાજાએ તેને વરદાન આપેલું છે એટલે તરત જ પતિ પાસે જઈને અર્ધા સિંહાસન ઉપર બેઠી. તેણે વિનંતી કરી કે હે નાથ! બધી સ્ત્રીઓની વચ્ચે તમે મને કૃપા કરીને કહ્યું હતું કે તું જે માગીશ તે હું આપીશ તો અત્યારે આપો. ત્યારે દશરથે કહ્યું કે હે પ્રિયે! જે તારી ઈચ્છા હોય તે માગી લે. રાણી કૈકેયી આંસુ સારતાં કહેવા લાગી કે હે નાથ ! અમારી એવી કઈ ભૂલ થઈ કે તમે ચિત્તને કઠોર કરીને અમને છોડવા ઈચ્છો છો. અમારો જીવ તો તમારે આધીન છે. વળી, આ જિનદીક્ષા અત્યંત દુર્ધર છે તે લેવા માટે તમને કેમ વિચાર સૂઝયો? આ ઇન્દ્ર સમાન ભોગોથી પાળેલું તમારું શરીર છે, તમે મુનિપદ કેવી રીતે ધારણ કરી શકશો? મુનિપદ અત્યંત વિષમ છે. જ્યારે રાણી કૈકેયીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો: હું કાંતે! સમર્થને વિષમ શું? હું તો નિઃસંદેહુ મુનિવ્રત ધારણ કરીશ જ, તારી અભિલાષા હોય તે માગ. રાણી ચિંતાતુર બની નીચું મુખ કરી બોલી કે હે નાથ ! મારા પુત્રને રાજ્ય આપો. ત્યારે દશરથે કહ્યું કે એમાં સંદેહ શેનો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com