________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ-૩ સાધક જીવની દષ્ટિનું સળંગ ધોરણ અધ્યાત્મશાસ્ત્રોમાં “અભેદ તે નિશ્ચયનય' એમ કહ્યું નથી. જો અભેદ તે નિશ્ચયનય એવો અર્થ કરીએ તો કોઈ વખતે નિશ્ચયનય મુખ્ય થાય, અને કોઈ વખતે વ્યવહારનય મુખ્ય થાય, કેમ કે આગમશાસ્ત્રોમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય અને નિશ્ચયનયને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં હંમેશા “મુખ્ય તે નિશ્ચયનય' છે, અને તેના જ આશ્રયે ધર્મ થાય એમ સમજાવવામાં આવે છે, અને તેમાં નિશ્ચયનય સદા મુખ્ય જ રહે છે. જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે-એમ સમજવું. કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ-દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.
છ એ દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારીપર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનાં અનન્ય પરિણામ છે-એમ વ્યવહારનયે કહેવામાં–સમજાવવામાં આવે, પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે-એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
પ્રશ્ન- શું સાધક જીવને નય હોતા જ નથી ?
ઉત્તર- સાધકદશામાં જ નય હોય છે. કેમ કે કેવળીને તો પ્રમાણ હોવાથી તેમને નય હોતા નથી, અજ્ઞાનીઓ વ્યવહારનયના આશ્રયે ધર્મ થાય એમ માને છે તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com