________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
જ્ઞાયક ભાવ જાણવાની જે એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપ જ અનાકુળ આનંદનો નાથ ભગવાન આત્મા-આખી ધ્રુવ ચીજ પ્રભુ આત્મા-પડ્યો છે. છતાં પણ ત્યાં અજ્ઞાનીની નજર નહિ હોવાથી તેને તેની ખબર નથી. અરે! ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું છે કે તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. ઝીણી વાત છે બાપા! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું પણ કઠણ પડે એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે.
તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ એક સમયની પર્યાયમાં જે પડેલો છે તે અજ્ઞાનીને પણ સમીપમાં છે. નજરમાં છે, કેમકે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઉઘડેલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનીની દષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે, સત્યદષ્ટિથી વિરુદ્ધ દષ્ટિવાળો છે. પરંતુ સત્ય જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહો એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જોકે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ. જ્ઞાયક ભાવ જણાય છે. એમ પરમાત્મા પ્રભુ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવના કેડાયત સંતો આમ કહે છે એટલે કે પ્રભુ જ આમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com