________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૦]
[ શ્રી અનુભવ પ્રકાશ પોતપોતાની મર્યાદામાં વર્તે છે, કોઈ કોઈની મર્યાદાને અડતા નથી. આત્મા ત્રિકાળ પદાર્થ છે, તેના જ્ઞાન-દર્શનાદિ ગુણો છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા પોતાનો ઉપયોગ કરી શકે છે. શુભાશુભ ઉપયોગ કરે તે બંધનું કારણ છે ને શુદ્ધ ઉપયોગ કરે તે અબંધનું અથવા ધર્મનું કારણ છે.
કોઈ કહે કે જડની પર્યાય કરવી પણ અભિમાન ન કરવું. તેને કહે છે કે તે મૂળમાં ભૂલ છે. જડ પદાર્થોનું તેના કારણે ક્ષેત્રાતર કે અવસ્થાંતર થાય છે, આત્મા તેનો કર્તા-હર્તા નથી, છતાં આત્માને જડ પદાર્થનો કર્તા કહેવો તે આત્માને ગાળ દીધા સમાન છે. તે પદાર્થનાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તો ત્રિકાળ છે, તેનો સ્વકાળ છે કે નહિ ? છે, તો તે પર્યાયનો કર્તા તે તે પદાર્થ છે. અજીવ પદાર્થમાં જડભાવ છે, જીવ પદાર્થમાં ચેતનભાવ છે. ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, તેની પહોળાઈ છે તે ક્ષેત્ર છે, તેની વર્તમાન હાલત તે સ્વકાળ છે અને તેની શક્તિઓનો ભાવ કહે છે. પરમાણમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અસ્તિત્વ વગેરે અનંતા ગુણો છે. એક પરમાણુ બીજા પરમાણુને લીધે નથી. શુભ-અશુભ ભાવરૂપી કષાયપરિણતિ તથા શુદ્ધભાવરૂપી અકષાયપરિણતિ જીવમાં છે પણ જડમાં નથી. જડના ભાવ અથવા ગુણો જડમાં છે. તે પદાર્થોના ગુણ કાયમ રહીને સમયે સમયે તેની અવસ્થા તેનાથી જ થાય છે. દરેક પદાર્થમાં છ કારક અનાદિથી છે તેથી પોતે જ કર્તા થઈને કાર્યરૂપ થાય છે.
પોતે પોતાની પર્યાયનો કર્તા છે, પોતે પોતામાં કાર્ય કરે છે, પોતાના સાધનથી કાર્ય કરે છે, પોતાના આધારે કામ કરે છે-વગેરે છે કારકો દરેકમાં છે, એક પદાર્થ બીજા પદાર્થનું કામ કરતો નથી. ધર્મી વિચારે છે કે પરની વિશેષતાથી, સંયોગથી આત્મામાં પ્રભાવ પડતો નથી, વિલક્ષણતા આવતી નથી. દ્રવ્યમંગળ, ક્ષેત્રમંગળ, વગેરે મંગળનું કથન શાસ્ત્રમાં આવે છે. તેનો અર્થ એ છે કે સ્વભાવની રુચિ કરી પવિત્રતા પામે. નિજશુદ્ધાત્માના આશ્રયવડે પુણ્ય-પાપના અહંકારને ગાળે તે મંગળ છે. આમ મંગળ જે ક્ષેત્રે પ્રગટ કરે તે ક્ષેત્રને મંગળપણાનો ઉપચાર આવે છે. શાસ્ત્રકારનો આશય સમજવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com