________________
પ્રતિક્રમણમાં ઉપયોગી ઉપકરણો અને વિવેચન
ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવા સાધનોને ઉપકરણ કહેવાય. ૧) સ્થાપનાચાર્યજી - પ્રતિક્રમણ ગુરૂસાક્ષીએ કરવું જોઈએ. જો ગુરૂની અનુકુળતા ન હોય તો, નવકાર અને પંચિંદિય સૂત્ર હોય તેવું પુસ્તક, ગુરૂસ્થાને સ્થાપી, સામાયિક-પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ. ૨) કટાસણું-દોઢ હાથ જેટલું સમચોરસ માપનું, કાણાં વગરનું, સફેદ ઉનનું હોવું જોઈએ. કટાસણું સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે તે માટે અખંડ રાખવાનું છે. સામાયિક કરતાં શરીરમાં એક ઉર્જાનો પ્રવાહ જન્મે છે, તે ઉનનું કટાસણું હોય તો જમીનમાં ઉતરી જતો અટકીને શરીરને ઉર્જામય રાખે છે. ૩) મુહપત્તિ-મુહપત્તિ સુતરાઉ કાપડની, સામાન્યરીતે એક વેંત અને ચાર આંગળીની હોય છે. મુહપત્તિની ત્રણ કોર ખુલ્લી અને એક કોર બાંધેલી હોવી જોઈએ. કારણ સંસારની ચાર ગતિ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ આમાં આત્માનો છૂટકારો કરવા માટે એક જ ગતિ મનુષ્ય ગતિ જ સમર્થ છે તે દર્શાવ્યું છે.મુહપત્તિ સ્વચ્છ હોવી જોઈએ. મુહપત્તિ મુખ પાસે રાખવાના બે કારણ છે. ૧- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે વિનય સાચવવો. બોલતાં ચૂંક ન ઉડે તેનો વિવેક જાળવવો. ૨-સૂત્રો બોલતાં હવામાંના સૂક્ષ્મ જીવો મુખમાં ચાલ્યા ન જાય અને તેમની રક્ષા થાય. મુહપત્તિનું પડિલહેણ, પચાસ બોલ બોલવાપૂર્વક કરવાનું હોય છે. પુરૂષોએ પચાસ બોલ, અને સ્ત્રીઓએ ચાલીસ બોલપૂર્વકમુહપત્તિનું પડિલેહણ કરવાનું હોયછે. ૪) ચરવળો - સામાયિકમાં ઉઠતા-બેસતા, ભૂમિની પ્રાર્થના કરવા માટે વપરાય છે. ચરવળો ૩૨ આંગળ જેટલો હોય છે. તેમાં ચોવીસ આંગળની દાંડી (આત્મા ૨૪ દંડકથી દંડાય છે) અને આઠ આંગળની દશીઓ (આત્માને આઠ પ્રકારના કર્મબંધથી મુક્ત કરવા) એવું દર્શાવવામાં આવેલ છે. ચરવળાની દાંડી લાકડાની જ હોવી જોઈએ. ચોરસ દાંડી સ્ત્રીઓ માટે વપરાય છે. ગોળ દાંડી પુરૂષોએ વાપરવાની હોય છે. ચરવળા વિના ક્રિયામાં ઉભા થવાય નહીં તેમ જસ્થાનફેર પણ ન કરાય.