________________
About the Author
એક ગૃહિણીનું સંશોધન તપ
ડૉ. રેણુકાબેનનો સંશોધન વ્યાપ આશ્ચર્ય પમાડે એવો તો છે જ, પણ એથી વિશેષ વ્યાપ તો એમની વૈવિધ્ય વિદ્યા સંપત્તિનો છે. કોલેજકાળમાં વિજ્ઞાનના વિદ્યાર્થીની બે.એસ.સી., પછી ગૃહિણી શ્રાવિકાની જવાબદારી સાથે કાયદામાં એલ.એલ.બી. સ્નાતક થયા, એ ઓછું લાગ્યું હોય એટલે પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવન અને કવન ઉપર મહાનિબંધ લખી પી.એચ.ડીની ઉપાધિ પોતાના બટવામાં મૂકી દીધી.
આ અલ્પભાષી શ્રાવિકાને આ પણ ઓછું લાગ્યું એટલે પોતાના સંશોધન જીવને વિસ્તારી શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કર્યો. જ્ઞાન ભંડારોની મુલાકાત લીધી, શિલ્પસ્થાપત્યો પાસે પહોંચી પરિશ્રમ કર્યો અને આજે તેઓ આપણા હાથમાં આ ‘મથુરાના જૈન પ કળા અને પ્રતિમાઓ'નો મહાગ્રંથ સ્મિતવદને મૂકે છે.
-
વિદ્યા શાખાના આ કાર્યથી ડૉ. રેણુકાબેન, અન્ય શ્રાવિકા ગૃહિણીઓના પ્રેરણાસ્રોત બને છે.
શબ્દ અને શિલ્પથી જ જગતના ધર્મો અને સંસ્કૃતિ જીવંત રહે છે. શબ્દ દ્વારા શિલ્પના અભ્યાસથી ધર્મ અને સંસ્કૃતિના વિકાસ તથા પરિવર્તનની વર્તમાનને ખબર પડે છે. ડૉ. રેણુકાબેને આ ગ્રંથ થકી આ પૂણ્ય કર્મ કર્યું છે.
સાત પ્રકરણમાં વિસ્તરાએલા આ ગ્રંથમાં મથુરાના જૈન સ્તૂપની ચિત્રસહ સંશોધનાત્મક અને સર્જનાત્મક માહિતી ભરેલી છે. સ્તૂપ એટલે બૌદ્ધૌના જ!!! એવી સામાન્ય માન્યતાને ખંડિત કરી જૈન સ્તૂપની માહિતી, ઉપરાંત અન્ય શિલ્પ-સ્થાપત્યની માહિતીથી આ ગ્રંથ વધારે સમૃદ્ધ બન્યો છે. તે ઉપરાંત શિલાલેખો અને અંગ્રેજી ભાષામાં એનો અનુવાદ પણ આ ગ્રંથને મોરપિચ્છ અપાવે છે.
જૈન શબ્દ-શિલ્પ ગ્રંથ ભંડારોમાં શોભી ઉઠે અને વાચકો માટે જ્ઞાનવર્ધક બને એવા આ ગ્રંથને આપણે સહુ વધાવીએ અને આ પુરસ્કૃત કાર્ય કરવા માટે એમને પ્રોત્સાહિત કરનાર એમના ગુરૂજનો, પરિવારજનો તેમજ મિત્રોને શબ્દ-વંદના કરીએ.
- ડૉ. ધનવંત શાહ
મુંબઈ, ૭-૧૨-૨૦૧૫.