________________
નુકસાની કરતા કરેલી ભૂલ તરફ લક્ષ્ય આપવું જોઈએ. કો'કની સલાહને અવગણવાની ભૂલ કેવી નુકસાની નોંતરી લાવે છે તે વિચારવાની આ તક છે.
અજ્ઞાનજનિત ભૂલ કરતા અવગણનાજનિત ભૂલમાં આપણું અસ્તિત્વ વધુ ઓળઘોળ થઈને ભળેલું હોય છે. ડેન્જરનું સાઈનબોર્ડ વાંચવા છતાં ગફલતથી ગાડી હંકારીને અકસ્માત કરવો તે આવેશપૂર્ણ ઘટના હોવાથી અજાણતાં થયેલ અકસ્માત કરતાં વધુ ગુનાપાત્ર ઠરે છે. તે વખતે ઉદ્વેગની કોઈ જરૂર નથી. ઊહાપોહની જરૂર છે. અવગણેલી સલાહને માનસિક સલામ ભરવાની ખેલદિલી દાખવીને બીજી વખત વડીલ અને અનુભવીની વાતને સાવ ગૌણ કરી દેવાનું દુઃસાહસ નહીં કરવાનો સંકલ્પ કરવો. બીજી વાર મનની માવજત કરવામાં સરળતા
રહેશે.
- બિલાડીની એક ખાસિયત છે. તે ગમે ત્યાંથી પડે કે તેને કોઈ ફેંકે તો પણ જ્યારે પડે ત્યારે તે પોતાના પગ પર જ હોય. મનને હળવે હળવે એ રીતે કેળવવું જોઈએ કે સંયોગો ગમે તેવા વિપરીત અને વિષમ સ્થિતિમાં આપણને ફંગોળે છતાં પણ આપણે પગભર રહી શકીએ. તબક્કાવારતાલીમ લઈને મનની કેળવણીઆ રીતે થઈ શકે.
(૧) જે નુકસાની બહુ લાંબાગાળા સુધી અસર કરવાની ન હોય તેવા સંયોગામાં મનને બગડવા દેવું નહીં જેમ કે ચા ઠંડી છે, દાળ મોળી છે, રસ ખાટો છે, પાપડ હવાયેલો છે, કપડાં પર ડાઘ પડ્યો, ઈસ્ત્રી બરાબર થઈ નથી, ગડી બરાબર વળી નથી, કોઈનો રોંગ નંબર આવ્યો, બારણું ખૂલતાં વાર લાગી, સામાન્ય શરદી થઈ કે તાવ આવી ગયો, કોઈએ ગાળ આપી કે અપમાન કર્યું. આ બધા બહુ ટૂંકાગાળાના નાના નુકસાનો છે.
-------- મનનો મેડિકલેઈમ (૧૦૧)