________________
કરાવી દીધું. તે જ રીતે પશુઓ માટે ઘાસનો સંગ્રહ કરાવવાનું પણ ચાલુ કર્યું. તે ધાન્ય તથા પશુચારો મેળવવા જે કાંઈ ધન -ચાંદી - સોનું - રત્નો આપવા પડ્યા, તે આપીને પણ તેમણે ધાન્યના હજારો ભંડારો ભરી દીધા. ઘાસની ગંજીઓ ખડકી દીધી.
જાણે કે તેઓ મનોમન બોલતા હતા કે, “હે કુદરત ! તારે જે કરવું હોય તે કર. હવે મને ચિંતા નથી. મારી પ્રજાનું હિત મારા હૃદયે એટલું બધું વસેલું છે અને પશુપંખીઓ પ્રત્યે મારા હૃદયમાં એટલી બધી કરુણા ઉભરાઈ રહી છે કે ગમે તેટલા વર્ષો દુકાળ પડે તો પણ હું મારી પ્રજા કે પશુ-પંખીને ધાન્ય કે ઘાસ ન મળવાના કારણે તો મરવા નહિ જ દઉં !”
દિવસો પસાર થવા લાગ્યા. જોતજોતામાં અષાઢ મહીનો આવી ગયો. ઠંડો પવન વાવા લાગ્યો. પૂર્વ દિશામાં વાદળો દેખાવા લાગ્યા. પ્રજા આનંદિત બની ગઈ. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. લગાતાર ત્રણ દિવસ - રાત વરસાદ વરસ્યો.
રાજા તથા પ્રજાને આનંદ સાથે આશ્ચર્ય થયું. અરે ! આ શું? પેલા નૈમિત્તિકની વાત ખોટી શી રીતે પડી? મુશળધાર વરસાદ પડ્યો, તે તો સારું જ થયું છે, પણ દુકાળ પડવાના બદલે મુશળધાર વરસાદ પડવાનું કારણ શું? નૈમિત્તિકની વાણી કદી ય જૂઠી પડે નહિ, તે જૂઠી કેમ પડી ? તે જાણવાની બધાને જિજ્ઞાસા હતી.
ત્યાં તો થોડા દિવસમાં વનપાલકે રાજાને વધામણી આપી કે, “હે રાજન ! આપના ઉદ્યાનમાં આ વર્ષે ચાતુર્માસ પસાર કરવા રોકાયેલા યુગંધર નામના મુનિરાજને આજે સવારે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. સચરાચર સૃષ્ટિના તેઓ જ્ઞાતા બન્યા છે. આ વિશ્વની કોઈપણ ચીજ હવે તેમનાથી અજાણી નથી.”
ગુરુભગવંત કેવલી બન્યાના સમાચાર જાણીને રાજાના આનંદનો પાર ન રહ્યો. તેમણે વધામણી આપનારા તે વનપાલકને તરત જ ગળામાંથી સોનાનો હાર કાઢીને ભેટ આપી દીધો. સમગ્ર નગરમાં ઘોષણા કરાવી કે, “આપણા નગરમાં ચાતુર્માસ માટે પધારેલા યુગંધર મુનિવરને આજે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. પ્રજાજનો આનંદો... આજે આપણા આંગણે સાક્ષાત કલ્પવૃક્ષ ફળ્યા છે. મહારાજા સપરિવાર તે કેવળજ્ઞાનીના દર્શનાર્થે જઈ રહ્યા છે. તમે બધા પણ તમારી અનુકૂળતાએ કેવળજ્ઞાની ભગવંતના દર્શન તથા તેમના ઉપદેશને સાંભળવા પધારો.”
સમગ્ર નગરમાં ઉદ્ઘોષણા કરાવીને રાજા પોતાના પરિવાર સાથે કેવળજ્ઞાની મહાત્માના દર્શન - વંદન કરવા ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં જઈને મહાત્માને ત્રણ પ્રદક્ષિણા આપીને, વંદના કરીને, વિનયપૂર્વક તેમની સામે ઉપદેશ સાંભળવા બેઠો. પરિવાર તથા નગરજનો પણ પોતપોતાની રીતે વિનય કરીને દેશના સાંભળવા
૭પ કે વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨