________________
(૨) પરિગ્રહ પરિમાણનો પ્રભાવ
પોતનપુર નામના નગરમાં વિદ્યાપતિ નામનો વેપારી રહેતો હતો. પૂર્વભવમાં કરેલી આરાધનાના પ્રભાવે તેની પાસે સમૃદ્ધિની રેલમછેલ હતી. ના, માત્ર તેની પાસે સંપત્તિ જ પુષ્કળ હતી; એમ નહિ; ગુણો પણ અઢળક હતા. પરમપિતા પ્રમાત્મા તથા તેના શાસન પ્રત્યે તીવ્ર રાગ હતો, ઉત્કટ શ્રદ્ધા હતી. પ્રાપ્ત થયેલાં ધનનું અભિમાન તો જરા ય નહોતું. પોતાના ભોગવટા માટે જેટલા ધનનો ઉપયોગ તે કરતો હતો, તેના કરતાં અનેકગણા વધારે ધનને તે દાનમાં વાપરતો હતો. તેના આવા ગુણોના પ્રભાવે લક્ષ્મીદેવી સતત તેનું સાન્નિધ્ય કરતી હતી. દિન, પ્રતિદિન તેની પાસે સંપત્તિ વધતી જતી હતી.
પુણ્યપ્રભાવે તેને પત્ની પણ અનુકૂળ મળી હતી. શૃંગારસુંદરી તેનું નામ હતું. પતિ પ્રત્યેનો સ્નેહભાવ તો અપ્રતિમ હતો. પણ તેથી ય અનંતગણી ચડિયાતી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે હતી. પરમાત્માના વચનો પ્રત્યે તેના હૃદયમાં ઉછળતો અહોભાવ હતો. તેના શરીરે અનુપમ રૂપ અને સૌંદર્ય પ્રાપ્ત કર્યા હતા તો તેના આત્માએ અઢળક ગુણોને ધારણ કર્યાં હતા. તેની ભાવનાને પ્રોત્સાહિત કરીને ધનપતિએ એક સુંદર ભવ્ય જિનાલયનું સર્જન કરીને તેમાં પરમાત્મા ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. બંને પતિ - પત્ની રોજ ભાવવિભોર બનીને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યા.
જેમ જેમ ગુરુભગવંતોના વધુને વધુ પરિચયમાં આવવા લાગ્યા, તેમ તેમ તેમના જીવનમાં ધર્મ વધુને વધુ વિસ્તરવા લાગ્યો. તેમણે સોનાની, ચાંદીની, રત્નોની અને આરસની હજારો પ્રતિમાઓનું નિર્માણ કર્યું. સોનાની ને ચાંદીની શાહીથી અનેક આગમો લખાવ્યા. સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવામાં ગાંડા બની જતા. સાધર્મિકો પ્રત્યેનું વાત્સલ્ય તેમના હૃદયમાં અપરંપાર હતું. સાતે ક્ષેત્રોમાં તેઓ પુષ્કળ ધન વાપરતા હતા. તેમાં જ તેમને આનંદ આવતો હતો.
એક રાત્રીની વાત છે. વિદ્યાપતિ શેઠ ઘસઘસાટ સૂતા હતા. અચાનક રૂમઝુમ - રૂમઝુમ અવાજ આવવા લાગ્યો. ઝાંઝરનો રણકાર થયો. શેઠ ઝબકીને જાગી ગયા. ‘‘આ શેનો અવાજ હશે ? અત્યારે અહીં કોણ આવ્યું હશે ? શા માટે આવ્યું હશે ?’’ વિચારતા વિચારતા શેઠ આંખો ચોળવા લાગ્યા. ત્યાં તો સોળે શણગાર સજેલી એક નવયૌવના સામે આવીને ઊભી રહી. મીઠી મધુરી વાણીમાં તે બોલી, ‘‘શેઠજી ! મને ઓળખી ? હું લક્ષ્મીદેવી છું. તમારા પુણ્ય પ્રભાવે ખેંચાઈને અત્યારસુધી અહીં રહી છું.
૮
વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨