________________
પ્રયત્નશીલ બની આગળ વધે છે તે પાછળ દષ્ટિ ફેંકતો નથી, પણ હિંમતભેર આગળ વધે છે.
તેને વિઘ્નનો ભય હોતો નથી. તે કદી ધૂંઆપૂંઆ થતો નથી, નાહિંમત કે નિરાશ પણ થતો નથી. તે શક્તિ, ઉત્સાહ, ચેતન ને જીવનથી ભરપૂર હોય છે. તે સદા ખંત ને ઉત્સાહથી ઉભરાતો હોય છે.
વિચારોરૂપી ઈંટો દ્વારા ચારિત્ર્યરૂપી મહેલ બંધાય છે. ચારિત્ર્ય હવામાંથી મળતું નથી. તેને ઘડવું પડે છે માટે પ્રથમ તો ઉત્તમ ચારિત્ર નિર્માણ કરવાનો દઢ નિશ્ચય જોઈએ અને ત્યારબાદ તેને અમલી બનાવવાનો સતત પ્રયાસો કરવો જોઈએ.
તમારું ચારિત્ર્ય ઘડો એટલે તમારું જીવન આપોઆપ ઘડાશે. ચારિત્ર્ય એ જ પ્રચંડ શક્તિ છે. તે જ મોટામાં મોટી લાગવગ છે. તેનાથી મિત્રો મળે છે, આશ્રય મળે છે ને સહાય મળે છે. દ્રવ્ય પણ તેથી જ મળે છે. પૈસા, કીર્તિ, સફળતા અને સુખ મેળવવા માટેનો આ સૌથી સહેલો અને ચોક્કસ ઉપાય છે.
વિજય ને પરાજય, સફળતા ને નિષ્ફળતા તેમ જ જીવનના બધા પ્રસંગોમાં ચારિત્ર્ય એ જ નિર્ણાયક તત્ત્વ છે, આ લોકમાં તેમ જ પરલોકમાં સારા ચારિત્ર્યવાળો મનુષ્ય જ ઉત્તમ સુખ મેળવે છે.
પ્લેટફોર્મ પરથી આપવામાં આવતાં ભાષણો, પ્રવચનો, વક્તવ્યો, અને શબ્દોના આડંબરો કરતાં પ્રેમ, દયા ને વિનયથી કરેલાં નાનાં નાનાં કૃત્યો, બીજાઓ માટે લાગણી કે થોડું પણ દાન રોજના વહેવારમાં અમલમાં મૂકવામાં આવે તો તે તમારા ચારિત્ર્યને વધારે ઉન્નત બનાવશે.
પ્રબળ ઉન્નત સંકલ્પો દ્વારા ભવ્ય ચારિત્ર્ય ખીલવી શકાય છે; સારું ચારિત્ર્ય એ વ્યક્તિગત પ્રયાસનું પરિણામ છે. પોતાના જ પુરુષાર્થનું એ ફળ છે.
જગત પર માત્ર પૈસા, સત્તા કે બુદ્ધિનું રાજ્ય નથી. ખરી રીતે તો શુદ્ધ ચારિત્ર્ય અને નૈતિક શ્રેષ્ઠતાનું જ જગતમાં સર્વત્ર સામ્રાજય છે.
ચારિત્ર્ય વિનાની સમૃદ્ધિ મોટું નામ, કીર્તિ, વિજય, વગેરેની કંઈ પણ કિંમત નથી. બધાની પાછળ ચારિત્ર્યનું પીઠબળ હોવું જોઈએ. આ ચારિત્ર્ય તમારા સંકલ્પથી જ ઘડાય છે.