________________
મનને શુદ્ધ કરો અને ત્યારબાદ તમે જે જે વસ્તુઓ અને લોક પ્રાપ્ત કરવાની ભાવના કરશો તે દરેક સફળ થશે.
આ સત્ય હકીકત છે કે જે જે વિચારોનું તમે સેવન કરો છો તે વિચારની મનુષ્યના શરીર કે તેના અમુક ભાગ પર ખાસ અસર થાય છે. સતત ચિંતન દ્વારા સ્થૂળ શરીરને સૂક્ષ્મ તરીકે અનુભવાય છે, અને તેથી ઊલટું, સૂક્ષ્મ શરીર વારંવાર કલ્પના કરવાથી સ્થળ તરીકે અનુભવાય છે. સતત પ્રયાસ એ જ સફળતાનું રહસ્ય છે.
માટે દઢ નિશ્ચય કેળવો તમારા સંકલ્પની સિદ્ધિ માટે આ અગત્યનો મુદ્દો છે. તમારા દઢ નિશ્ચયની સામે કોઈ પણ શક્તિ ટકી શકે નહિ. તમે સર્વ કોઈ વસ્તુને સિદ્ધ કરી શકશો.
તમારું શરીર એ પણ તમારા સંકલ્પનું મૂર્ત સ્વરૂપ છે. જ્યારે તમારા સંકલ્પો બદલાશે ત્યારે તમારું શરીર પણ બદલાશે. પોતાના જ સંકલ્પરૂપી દ્રવ્યમાંથી મન શરીરને સર્જે છે. સંકલ્પ એ એવું બળ છે કે જે તમારા શરીરની અંદરની પ્રત્યેક વસ્તુને બદલાવી શકે, તેમાં ફેરફાર કરી શકે.
ભૌતિક શરીરની અંદરની અવ્યવસ્થા અને અસંવાદિતા શારીરિક રોગ કહેવાય અને મનની અંદરનો વિકાર માનસિક રોગ કહેવાય છે. બંનેનું છેવટનું મૂળ અજ્ઞાનમાં છે અને તે માત્ર સત્ય વસ્તુના જ્ઞાન દ્વારા નિવારી શકાય. જ્યારે તમે સંસારના અનુભવોથી ચિંતામગ્ન બનો છો, ત્યારે તમારા મનમાં ગ્લાનિ ઉદ્દભવો છો. આ ગ્લાનિને લીધે અંદરના સૂક્ષ્મ પ્રાણોનો સરળ પ્રવાહ બાધિત થાય છે. જ્યારે આ પ્રવાહમાં અડચણ આવે છે ત્યારે નાડીઓ અવ્યવસ્થિત બને છે. તેમાંની કેટલીકને વધારે પ્રાણ મળે છે અને કેટલીકને ઓછો મળે છે. આમ, આખું તંત્ર અવ્યવસ્થિત બને છે. આવી રીતે માનસિક અવ્યવસ્થા એ શારીરિક કારણ બને છે, જે તેનું મૂળ કારણ દૂર કર્યા વિના નિવારી શકાય નહિ.
તમારા મગજમાં પ્રવેશ કરનાર દરેક નિરાશાજનક અને વિક્ષેપ કરનાર વિચાર તમારા શરીરના પ્રત્યેક કોષ પર ખરાબ અસર કરે છે. તેથી રોગ ઉત્પન્ન થાય છે. દરેક નિષેધાત્મક વિચાર રોગનો પૂર્વગામી અને મૃત્યુના દૂતરૂપ છે.
જો તમારે બુદ્ધિપૂર્વક, લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો હંમેશાં સવિચાર લેવો. આમ, તમારા શરીરને ખીલવવામાં અને પુનર્જીવન આપવામાં સંકલ્પોની સૂક્ષ્મ અને પ્રબળ અસર હોય છે. માટે હંમેશાં સાવધ રહો.