________________
છે. માનસિક કલ્પનાશક્તિ જ્યારે ધર્મના સનાતન સિદ્ધાંતો પ્રમાણે પ્રકાશના માર્ગે પ્રયાણ કરે છે ત્યારે સુખ, જ્ઞાન અને શક્તિના ઉન્નત શિખરે લઈ જાય છે.
તમે તમારી વ્યક્તિગત ઇચ્છા, વ્યક્તિગત કલ્પના ને વ્યક્તિગત લાગણીના કેન્દ્ર છો. કાળ ને સ્થળની મોહકતા તમારી દૃષ્ટિ આગળથી ઝડપથી પસાર થતાં ઝાંઝવાના નીરની માફક ક્ષણિક આભાસો પ્રગટ કરે છે. તમે વારંવાર આનાથી છેતરાયા છો. આથી જ તમારી છાતી નિરાશાની ગરમીથી બળી ગઈ છે અને દુન્યવી જ્ઞાનરૂપી અગ્નિથી તમારી વિવેકશક્તિ સુકાઈ ગઈ છે. આધ્યાત્મિક ધ્યેય તમારી દૃષ્ટિ સમક્ષ ખડું છે. તમે તેના તરફ ઝડપથી કે ધીમેથી આગળ વધી શકશો તેનો આધાર તમારા વિચારો પર છે.
તમારા ઉચ્ચ વિચારોને હંમેશાં દૃઢતાપૂર્વક વળગી રહો, ઘણી નિષ્ફળતા બાદ તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા સ્વાર્થી સુખ અને કીર્તિ માટે પ્રયાસ કરો નહિ. જો તમે દુર્ગુણોને આવકારશો તો મૃત્યુ સહેલાઈથી તમારી પાસે આવી શકશે.
મનની શુદ્ધિ ને કેળવણીથી મળતું સુખ ત્રિલોકના સુખ કરતાં પણ ચડી જાય છે. સર્વ પ્રકારના અલંકાર તેમ જ ઉચ્ચ દરજ્જાની પ્રાપ્તિ કરતાં પણ તે વધારે ઉત્તમ છે.
તમારું મન સર્વશક્તિમાન છે. તે સર્વ કંઈ વસ્તુ સિદ્ધ કરવાને શક્તિશાળી છે. તમારા મનમાં જેવો સંકલ્પ કરો છો તેવી જ રીતની વસ્તુઓ બનવા માંડે છે. જે પ્રમાણે તમારું મન ગાઢ વિચાર કરે છે તે પ્રમાણે વસ્તુ સ્થૂળ રૂપ ધારણ કરી સિદ્ધ થાય છે.
તમારા સંકલ્પમાં સર્જનશક્તિ રહેલ છે. તે પોતાની અંદરથી જ વસ્તુઓની ઉત્ક્રાન્તિ કરી શકે છે. તે એક જ સ્રષ્ટા છે. મન સિવાય બીજી કોઈ પણ વસ્તુ દ્વારા સર્જન કે પુનઃસર્જન થઈ શકે તેમ નથી. સંકલ્પ એ જ મૂળભૂત દ્રવ્ય છે, જેમાંથી વસ્તુઓનું નિર્માણ થાય છે. બધું દ્રવ્ય એ મનોમય તત્ત્વનું સ્થૂળ રૂપ છે.
તમે જે કંઈ મેળવો છો તેને માટે બીજું કોઈ જવાબદાર નથી, કેમ કે દરેક વસ્તુ તમારા સંકલ્પનું જ પરિણામ છે. જીવનમાં આવતી પ્રત્યેક વસ્તુનું કારણ તમારી અંદર જ રહેલું છે. જો તમે લાયક ન હો તો કોઈ પણ સત્તા તમને કંઈ પણ આપી શકે નહિ. તમે બીજાઓ પાસેથી જે કંઈ
૯૫