________________
જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવે, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં અને તેને અનુભવ્યા જ કરવું પડે. કોઈ પણ પ્રકારે મને દુઃખની પ્રાપ્તિ ન થાય.” એવી ઇચ્છા છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે અને જે જે પ્રયત્ન કરું છું તે તે બધા નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું. તેનું શું કારણ? શું દુઃખ કોઈને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? પૂર્વે કરેલા મારા અપરાધોનું ફળ હશે? એવા અનેક પ્રકારના વિકલ્પ આવ્યા કરે છે. આ જગતના પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે કોઈ પ્રકારે મને દુઃખ નહીં અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન વિચારવાન જીવોને ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તે તથારૂપ ફળ પામશે એમાં સંશય નથી. વળી ધર્મથી દુઃખ મટે એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ, પણ ધર્મનું
સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો મૂળ વિષય ચૂકી ગયા અને તેથી બુદ્ધિ થાકી જવાથી નાસ્તિકાદિ પરિણામોને પામ્યા.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત – અનંતકાળથી દુઃખનું સાચું કારણ હોય તો તે એ છે કે જીવને પોતાના સ્વરૂપને વિષે ભ્રાંતિ રહેલી છે. જીવ પોતે જ પોતાને ભૂલી ગયો છે એ સૌથી મોટું આશ્ચર્ય છે. વસ્તુનું સ્વરૂપ વીતરાગ ભગવંતોએ પ્રકાશિત કર્યું છે એ ખરેખર વિચારવા યોગ્ય છે અને એ બાબત વિષે વિચારણા કરીએ.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૭૪ %