________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૪૫
કાંસીજોડા વાગે છે, અંતર અને વીણાના સૂરો રેલાય છે. મેરુ પર્વત ઉપર (જન્માભિષેકના મહોત્સવ જેવો શત્રુંજય ઉપર ઉત્સવ થાય છે. પાંચ વાદ્યોનો મંગલસૂચક ધ્વનિ થઈ રહ્યો છે. પુરુષ મોટાં મૃદંગ વગાડે છે. ચારે દિશામાં સ્ત્રી-પુરુષો મળ્યાં છે, જાણે ઋષભનો જન્મ ઊજવાઈ રહ્યો છે. વાચકો અને ગંધર્વો વણિકના ગુણ ગાય છે. સકલ સંઘવીઓ મસ્તકે તિલક કરે છે. હર્ષભેર આ ઋષભદેવ અને હીરગુરુની યાત્રા કરે છે. સ્ત્રી-પુરુષોનો કોઈ પાર નથી. સૌએ સંઘવીના ગુણ ગાયા. “આ પુણ્યવંત પુરુષોએ શત્રુંજયની યાત્રા કરાવી. એવી માતાઓને ધન્ય છે જેમણે એમને જન્મ આપ્યો.”
ખૂબ જ ઠાઠપૂર્વક સૌ ઋષભદેવને ભેટ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, પછી હીરગુરુને ખમાસણાં દઈને વંદના કરી. આમ તેમણે મનુષ્યભવનો લહાવો લીધો. સૌ શ્રાવકો સૂરજકુંડે જઈ સ્નાન કરી, વસ્ત્ર-આભૂષણ ધારણ કરી, કેસર, ચંદન, અગર, કપૂર, ધૂપ, પુષ્પ આદિ પૂજાની સામગ્રી લઈ સ્નાત્ર કરે છે ને શ્રીફળ ધરે છે, આરતી ને મંગળ દીવો ઉતારે છે. ભાવના ભાવતા અસંખ્ય ભવ્ય જીવો ભગવાનની પૂજા કરે છે. ઋષભદેવને મસ્તકે તેઓ સુવર્ણમય છત્ર તથા શિખર પર સુવર્ણનો ધ્વજદંડ ને કળશ ચડાવે છે અને એ રીતે ઋષભદેવની પૂજા કરે છે. સંઘવી તેમ જ અન્ય સ્ત્રીપુરુષો ભોજનની ભક્તિ અને લ્યાહારિની લહાણી કરે છે, કેટલાક સાકરનું પાણી પાય છે. કેટલાક બળદોને ગોળ ખવડાવે છે, કેટલાક સાધુઓનાં પાત્રોમાં વહોરાવે છે. કેટલાક જળ લઈને સામા દોડે છે ને પાણી પિવડાવીને પુણ્ય મેળવે છે. કેટલાક પુણ્ય કરીને ભાવના ભાવે છે કે જો આપણે ઘરે લક્ષ્મી હોત તો અમે પણ સંઘની આવી પ્રબળ ભક્તિ કરત.
સંઘે ઋષભદેવના પાય પૂજ્યા અને હીરસૂરિને વાંદ્યા. એક આવે છે ને એક જાય છે. એમ કરતાં ડામર સંઘવી આવ્યા. જિનેશ્વરની પૂજા કરીને તેઓ ગુરુ પાસે ગયા ને બે હાથ જોડી પગે લાગ્યા. એમના પગ પડીને કહે છે, “આપ કહો તે પ્રમાણે કરું.”
એમણે મુકુટ, કુંડલ ને ગળાનો હાર ભગવાનને પહેરાવ્યાં, સર્વ સાધુઓને પૂજ્યા ને તેમાં સાત હજાર મહેમુદી ખર્ચાયા. પછી ગંદ્યારનો સંઘ મળવા આવ્યો. એમાં રામજી જેવો કોઈ દાની નથી. તેણે હીરસૂરિને વંદન કર્યા. ત્યારે હીરે હસીને કહ્યું, તમે કહેલું વચન યાદ તો છે ને ? કહેલું કે જો સંતાન થશે તો શિયળવ્રત ગ્રહીશ. તમને સંતાન થયું જણાય છે તો હવે શું કરવું તે નક્કી કરો.” આ સાંભળી રામજી સાવધાન થઈ ગયો. શત્રુંજય તીર્થ અને હીર સરખા ગુરુ એક સાથે ક્યાં મળે ? એ તો મરુદેશમાં કલ્પવૃક્ષ ફળ્યા જેવું છે. તે હાથ જોડી શિર નમાવે છે ને ચોથા વ્રતનો સંકલ્પ કરે છે. એની સાથે બાવીસ વર્ષની વયની પત્ની છે તે પણ પતિની સાથે જ આ વ્રત લે છે. સૌએ આ યુગલનું બહુમાન કર્યું. વળી બીજાઓએ પણ આ વ્રત લીધું. ત્યાં ઓચ્છવ-મહોચ્છવ થાય છે, જેમ રાજગૃહીનગરીમાં વીરની નિશ્રામાં થતો. હીરના પુણ્યનો પાર નથી. તેઓ ઘણા જીવોના તારણહાર બન્યા; જેમ નંદિષણની વાણીથી અનેક લોકો બોધ પામ્યા. પછી પાટણનો કકુ સંઘવી હીરસૂરિને વંદન કરવા