________________
• કયા સંજોગોમાં કઈ આરાધનામાં ફેરફાર-વધઘટ કેટલા કરવાના
તે વિવેક આપનાર પણ ઔચિત્ય છે.
જો કે, આ ઔચિત્ય અને તેની શિક્ષાનો વિષય સર્વ ધર્મક્રિયાઓ અને સર્વ વ્યવહારો છે. પરંતુ, સર્વ રીતે પ્રરૂપણા કરી શકાય તેમ નથી માટે આંશિક બુદ્ધિ પરિકર્ષિત કરવાનો આ પ્રયાસ છે. આમાં લખેલ બાબતો પણ પરિસ્થિતિ અનુસાર ફેરવવાની હોય છે. માટે આ વાતો પ્રધાનરૂપે તથા રાજમાર્ગની જેમ ઔચિત્ય આચરણ માટેની સમજવી. આ બધી વાતો ઉપસ્થિત કરવાથી, અનુભવમાં મૂકવાથી અને અવસરોચિત આચરવાથી સ્વ-પરને અનેક લાભ થવા સંભવ છે. કેટલીક બાબતો વિશેષ પ્રસંગને અનુલક્ષીને કહેવામાં આવેલી છે. તે બાબતો તે તે પ્રસંગે આચરણમાં મૂકાય તો ઔચિત્યપૂર્ણ કહેવાય, તે સિવાય કરીએ તો અનુચિત કહેવાય.
ઔચિત્યગુણ અપુનર્બલક દશાથી માંડીને ધર્માત્માને સર્વત્ર હોય છે. કેટલાક અજ્ઞાનને કારણે ઔચિત્ય ચૂકે છે તો કેટલાક રાગ-દ્વેષની ઉત્કટતાને કારણે ઔચિત્ય ચૂકે છે. અજ્ઞાનને કારણે જે ઔચિત્યભંગ થતો હોય છે તેનું નિવારણ કરવું તે આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે. આ પુસ્તકનાં વારંવારના પરિશીલનથી આચરણ શક્ય અને સાહજિક બનશે.
ઔચિત્યગુણ એ ધર્મનો પ્રાણ છે. તે પ્રારંભથી હોવો જોઈએ. તે વિના વ્યવહારધર્મ ગુણપ્રાપક નથી બનતો. તે માટે આ પુસ્તક અને આવા પુસ્તકો જે ધ્યાનપૂર્વક વાંચે અને જીવનમાં ઉતારવાની ગરજથી વાંચવા ઈચ્છે તેવા જીવો આને યોગ્ય છે અને એવા જીવોને આ પુસ્તકનાં વાંચનથી જરૂર લાભ થશે.
આ ઔચિત્યશિક્ષા લખીને લેખકે ઘણો લાભ મેળવ્યો છે અને વાંચનાર પણ આ શિક્ષા વાંચીને ઘણો લાભ પ્રાપ્ત કરશે. તેથી આ પુસ્તકને અપેક્ષાએ વિશેષ ઉપયોગી પુસ્તક કહી શકાય. લેખકની ભાવના અને પ્રયત્ન સાર્થક થાય એ જ અભિલાષા.
શ્રમણ ઔચિત્ય શિક્ષાની જેમ શ્રાવક ઔચિત્યશિક્ષા પણ તૈયાર કરવી જોઈએ. લેખક હવે તે પણ તૈયાર કરે તેવી ભલામણ છે.