________________
૧૨૬
શ્રી વીશસ્થાનક તપ
મૃત્યુ થયું. ત્યાંથી તે સાતમી નરકે ગયો. વિના કારણે મુનિની નિંદા અને દ્વેષ કરવાથી બાંધેલા તીવ્ર વિપાકથી અતિશય વેદના ભોગવી. ત્યાંથી અનેક ભવ ભ્રમણ કરી અત્યંત કષ્ટ સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. અનુક્રમે માસોપવાસી મુનિ થયો. સુખની ઈચ્છાથી નિયાણુ કરી તું અહીં રાજકુમાર થયો છે. તપસ્યાના પ્રભાવથી ૠધ્ધિ પામ્યો. તે જે મુનિ નિંદાનું કર્મ બાંધ્યું હતું. ભોગવતાં અવશેષ રહેલું ને આજે તને ઉદયમાં આવ્યું. તેથી તું મૂર્છા પામ્યો. મુનિ વંદનથી તે કર્મ હવે નાશ પામ્યું છે.’ એ રીતે ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ પામ્યો. તેથી સંવેગ પામી ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પોતાના પતિએ ચારિત્ર અંગીકાર કર્યું જાણી યશોમતી રાજકુમારીએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. રાજર્ષિમુનિ અનુક્રમે વિનયપૂર્વક અગીયાર અંગ ભણ્યાં. પૂર્વનો અભ્યાસ કરતાં એક દિવસ ગુરુમુખે વીશસ્થાનક પદનો મહિમા સાંભળ્યો કે—જે કોઈ ભવ્યાત્મા વીશસ્થાનકને વિધિપૂર્વક એકચિત્તે આરાધે છે તે જગદાધાર શ્રી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તેમાં પણ સોળમા વૈયાવચ્ચપદનું આરાધન મહાન છે. તેનું આરાધન ગુરુ, સંઘ, ગ્લાન, તપસ્વી, આદિનું અન્ન-પાન ઔષધ ભૈષજાદિ વડે વૈયાવચ્ચ કરવાથી થાય છે.' એ રીતે ગુરુમુખ શ્રવણ કરી જિમ્મૂતકેતુ મુનિએ અભિગ્રહ લીધો - ‘આજથી મારે નિરંતર શુદ્ધ ભાવથી ગુરુ-ગ્લાન આદિનું વૈયાવચ્ચ સ્થિર ચિત્તથી કરવું.' અભિગ્રહ પ્રમાણે મુનિ નિરંતર વૈયાવચ્ચ કરવા લાગ્યાં.
અન્યદા દેવસભામાં ઈન્દ્રે તે રાજર્ષિમુનિની પ્રશંસા કરી. સોમનામે લોકપાલ દેવ શંકા લાવી મુનિની પરીક્ષા કરવા દાહજ્વરની પીડાવાળા ગ્લાનમુનિનું રૂપ કરીને આવ્યો. જિમ્મૂતકેતુ મુનિએ તેમને ઉપાશ્રયમાં રાખ્યાં. પછી તેમને માટે આહાર લેવા ગોચરીએ ગયાં. એટલે વેષધારી દેવ પોતાનું બીજુ મુનિસ્વરૂપ કરી રાજર્ષિ મુનિને માર્ગમાં મળ્યાં. અને અતિ ક્રોધયુક્ત વચનોથી તર્જના કરવા લાગ્યાં. તો પણ મુનિ ખિન્ન ન થતાં સમતા ભાવમાં જ લીન રહ્યાં. પછી નિર્દોષ આહાર લાવી ગ્લાનમુનિને વપરાવ્યો. પછી તેમના દાહજ્વરની ઉપશાંતિ માટે કોઈ વૈધને બોલાવ્યો. વૈધે કહ્યું કે-આ મુનિને જો પાંકા ફળનો રસ કે જે મરચાના રસ જેવો હોય છે તે અપાય તો વ્યાધિ નાશ પામે. જિમ્મૂતકેતુ મુનિ તે લેવા નગરમાં ઘરે ઘરે ભમવા લાગ્યાં. પણ દેવમાયાથી કંઈ લાભ થયો નહીં. તેથી ખિન્ન થઈ પાછા
ન