________________
૧૧૬
શ્રી વીશસ્થાનક તપ કરતાં બધી બીના જાણી. આ તો કાંઈને બદલે કાંઈક કૂટાઈ ગયું. છૂપાઈ રહેલા મદનશેઠ વિચારે છે કે “ઘરનો દાઝયો વનમાં ગયો તો વનમાં લાગી આગ બે થી કંટાળી ત્રીજી કરી તો ત્રીજી સવાઈ નીકળી. રાક્ષસી સમાન એકેય નારીની હવે મારે જરૂર નથી. એમ વિચારી ત્યાંથી તે હસતી નગરીમાં આવ્યો. ત્યાં શ્રી ઋષભદેવપ્રભુને જુહારી ચિંતાગ્રસ્ત ઉભો હતો. ત્યાં તેને આ રીતે જોઈ ભગવાનની પૂજા માટે આવેલા ધનદેવ શેઠે તેની પૂછપરછ કરી. પીડાનું કારણ પૂછ્યું. મદનશેઠે તેને ગુણવાન અને કુલીન જાણી પોતાની સર્વ વીતક કથા કહીં. પછી ધનદેવ કહે છે કે હવે હું તને મારા દુઃખની કથા કહું છું તે તું સાંભળ.' એમ કહી ધનદેવે. પોતાની કથા કહેવી શરૂ કરી.
આ જ નગરમાં ધનપતિ નામે ધનાઢ્ય રહેતો હતો. તેને ધનસાર અને ધનદેવ નામે બે પુત્રો હતાં. અનુક્રમે શેઠ મૃત્યુ પામ્યાં. કલહ થવાથી બન્ને ભાઈ જુદા રહ્યાં. લક્ષ્મી નાશ પામી તેવામાં ધનદેવ એક સ્ત્રી.ઉપર બીજી પરણ્યો. તેને આશ્ચર્ય એ થયું કે બન્ને શોક્યો હોવા છતાં દ્વેષરહિત સ્નેહથી વર્તતી હતી. ધનદેવને આમાં કાંઈક ભેદ જણાયો. તે જાણવા માટે એક દિવસ તે મને શરીરે સારૂ નથી એમ ઢોંગ કરીને વહેલો સૂઈ ગયો. તેને નિદ્રાવશ જાણી બન્ને સ્ત્રીઓ શૃંગાર સજીને બહાર નીકળી પડી. કપટનિદ્રા કરતો ધનદેવ પણ છૂપાતો તેમની પાછળ ગયો. તે બન્ને નગર બહાર એક આમ્રવૃક્ષ ઉપર ચડી ગઈ. ધનદેવ તે વૃક્ષના થડને બાજી સાવધાનપણે બેઠો. એવામાં તે આમ્રવૃક્ષ આકાશમાર્ગે ઉડવા માંડ્યું. સમુદ્રને ઓળંગી રત્નદ્વીપમાં રત્નપુરનગરના કિલ્લા પાસે ઉતર્યું. તે બન્ને નીચે ઉતરી નગરમાં ચાલી. તેમને જોઈ ધનદેવ પણ છૂપાતો પાછળ ચાલ્યો. તે સમયે નગરમાં વસુદેવ શેઠના શ્રીદત્ત નામે કુમારનું શ્રીપુંજ શેઠની પુત્રી શ્રીમતી સાથે લગ્ન થવાનું હતું. વરઘોડો ચડ્યો. દુર્દેવવશાત્ તોરણે જ વરરાજાનું મૃત્યુ થઈ ગયું. રંગમાં ભંગ પડ્યો. તેવામાં શ્રીપુંજ શેઠે દેવવાણી સાંભળી કે હે શ્રેષ્ઠિનું ! તું તારી પુત્રીને તારા ઘરની સામે છૂપા વેષે ઉભેલા ધનદેવની સાથે આજે જ પરણાવી દે.” શ્રીપુંજ શેઠે ધનદેવને ગોતીને તેની સાથે શ્રીમતીને પરણાવી. નગરમાં ફરવા ગયેલી ધનદેવની બે સ્ત્રીઓ લગ્ન વખતે ત્યાં આવી પહોંચી. તેમણે ધનદેવને જોયો. વિચારવા લાગી કે આપણો પતિ અહીં ક્યાંથી? પછી સમાન આકૃતિવાળો બીજો કોઈ પુરુષ હશે એમ મનોમન સમાધાન કરી ઘર તરફ જવા ચાલી.