________________
૧૯૨
વડોદરાનાં જિનાલયો ગામ – સમની તાલુકો - આમોદ.
૪૩. શ્રી આદિનાથ જિનાલય આમોદથી ૧૬ કિ. મી.ના અંતરે આવેલ સમની ગામમાં પ્રવેશતાં જોષી ફળિયામાં રોડ પર જ શ્રી આદિનાથ ભગવાનનું નૂતન દેરાસર આવેલું છે. આ એક ઘુમ્મટબંધી દેરાસર છે. દેરાસર સાદા પત્થરનું બનેલું છે. દેરાસરની સ્થિતિ મધ્યમ છે.
જાળીવાળા ઝાંપામાં પ્રવેશતાં ખુલ્લો ચોક આવે છે પછી થોડી જગા છોડીને પ્રવેશચોકી આવે છે જેમાં મુખ્ય ચોકી પર “શ્રી સિદ્ધાચલ તિર્થાધિપતિ આદિનાથ જિનાલય” એમ લખેલ છે.
ત્રણ કાષ્ઠનાં પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ રંગીન છે. પ્રવેશદ્વાર પાસે દ્વારપાળની કૃતિ છે. રંગમંડપ નાનો છે. રંગમંડપમાં રંગીન થાંભલાં છે. રંગમંડપમાં ગોખમાં શ્રી માણિભદ્રવીર અને શ્રી યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ છે.
ગભારાની ફરતે પ્રદક્ષિણા માટેની જગ્યા છે. એક શ્રી શત્રુંજય તીર્થની દિવાલ પર ઉપસાવેલ પટ છે.
એક ગર્ભદ્વાર છે. ગભારો નાનો છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. પબાસન પર લંછન કર્યું છે. પબાસન ૧૯૮૧માં આસો સુદ ૧૧ના દિવસે બનાવ્યું એ મુજબનું લખાણ કર્યું છે. ગભારામાં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ છે.
મૂળનાયક ભગવાનની મૂર્તિ લેખમાં “. . . . . . . . . . . ખરતર ગચ્છ સમણી ગામે. . . . .” આટલું જ વાંચી શકાય છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૫ છે. જે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. આ માટે ચડાવો બોલવામાં આવે છે. આ દિવસે ત્રણ ટંક શ્રી સંઘસ્વામી વાત્સલ્ય થાય છે. એક ઉપાશ્રય છે જે ભાઈ-બહેન બંને માટે ઉપયોગમાં લેવાય છે. ઉપાશ્રય અને દેરાસરનો સમગ્ર વહીવટ શ્રી આદીશ્વર ભગવાન જૈન સંઘ, સમની હસ્તક છે.
હાલ ગામમાં ચાર જ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગામની ૨ વ્યક્તિએ દીક્ષા ગ્રહણ કરેલ છે. આઠ માસના વિહારકાળમાં સાધુ-સાધ્વીજી ભગવંતની આવન-જાવન દરમ્યાન ગામના જૈન રહીશો ખૂબ સુંદર વૈયાવચ્ચ કરે છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૮૯૪માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ થયો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો