________________
૨૭૨
પાટણનાં જિનાલયો જિનાલયની પ્રતિષ્ઠા તીર્થોદ્ધારક પ. પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય પ્રશાન્તમૂર્તિ પ. પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પપૂ. આ. શ્રીમદ્વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ. સા. સપરિવારની શુભ નિશ્રામાં કરવામાં આવી છે.
જિનાલયનો વિસ્તાર ઘણો વિશાળ છે. જિનાલયની ફરતે દીવાલે મંગલમૂર્તિઓ છે. શૃંગારચોકી તથા રંગમંડપ પણ વિશાળ છે. નૃત્યમંડપ તથા રંગમંડપના જિનાલયના ઘુમ્મટની કોતરણી આબુના જિનાલયની યાદ અપાવે છે. પ્રવેશચોકીની છતમાં કલ્પવૃક્ષની કોતરણી છે. નૃત્યમંડપ તથા રંગમંડપમાં મોટા, સુંદર ઝુમ્મર છે. નૃત્યમંડપના ઝુમ્મરમાં લાઇટીંગ કરવામાં આવી છે. જયારે રંગમંડપના ઝુમ્મરમાં દીવા મૂકવામાં આવે છે. જિનાલયના અંદરના ભાગમાં (રંગમંડપ અને ગભારામાં) ઇલેક્ટ્રીકસીટીનો ઉપયોગ કરવામાં આવતો નથી.
શૃંગારચોકીમાં મૂળનાયકની જમણી બાજુ ગોખમાં શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમને વંદન કરતા કુમારપાલ રાજાની મૂર્તિ તથા ડાબી બાજુ ગોખમાં શ્રી વિજયનીતિસૂરિશ્વરની મૂર્તિ છે.
રંગમંડપમાં કુલ આઠ ગોખ છે. તે પૈકી મૂળનાયકની જમણી બાજુના ગોખમાં સીમંધરસ્વામી, પુંડરીકસ્વામી અને ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિ બિરાજે છે. તથા ડાબી બાજુ ગોખમાં સુબાહુસ્વામી, ગૌતમસ્વામી તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિ બિરાજે છે. રંગમંડપમાં બન્ને બાજુ અન્ય બે પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસે ડાબી બાજુ ગોખમાં શંખેશ્વર પાર્શ્વનાથ તથા જમણી બાજુ ગોખમાં શાંતિનાથ બિરાજે છે.
જિનાલયની વિશાળતા જોતાં ગભારો પ્રમાણમાં નાનો છે. ગભારામાં આદેશ્વરની ૫૧” ઊંચાઈ ધરાવતી આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં બે ધાતુપ્રતિમા છે. ગર્ભદ્વાર કાષ્ઠની કોતરણીવાળું તથા કાચજડિત છે. તેથી બંધ બારણે દર્શન થઈ શકે છે.
- જિનાલયમાં ભોંયરું છે જેનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીં હાલ સાધ્વીજીનો ઉપાશ્રય બન્યો છે. વળી, ભવિષ્યમાં અહીં આંબેલશાળા અને પાઠશાળા પણ બનાવવાની યોજના છે.
જિનાલયનો વહીવટ આ સોસાયટીમાં રહેતા શ્રી ચીનુભાઈ મનસુખલાલ શાહ, મણિયાતીપાડામાં રહેતા શ્રી કીર્તિભાઈ અમૃતલાલ શાહ તથા કાંકરેજસ્થિત શ્રી દલપતભાઈ મોતીલાલ મહેતા હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org