________________
૧૧ ૨
સુરતનાં જિનાલયો
કૈલાસનગર, મજુરાગેટ ૪૭. આદેશ્વર - નાગેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૪૪) કૈલાસનગર, મજુરાગેટ વિસ્તારમાં સોરઠિયા પંથની વાડી સામે મેઇન રોડ પર આરસ તથા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. શિખરમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ મૂળનાયક છે. જિનાલયની બાજુમાં ઉપાશ્રય તથા સંઘની ઑફિસ છે.
શૃંગારચોકી - પ્રવેશચોકીના સ્થંભો પર વાજિંત્રો સહિત પૂતળીઓ તથા મગરમુખી તોરણો છે. ત્રણ પ્રવેશદ્વાર છે. તેની બાજુમાં ઉપરના માળે જવાનાં પગથિયાં છે.
રંગમંડપ મધ્યમ કદનો છે. સ્થંભો પર વાજિંત્ર સહિત નારીશિલ્પો છે. ગૌતમસ્વામી, માણિભદ્રવીર, ચક્રેશ્વરીદેવી, ગૌમુખયક્ષની આરસમૂર્તિઓના ગોખ છે. અષ્ટાપદ, સિદ્ધશીલા, ચંપાપુરી, સમેતશિખર, પાવાપુરી, મહાવીર સ્વામી મોક્ષ કલ્યાણક, ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, સમોવસરણ, જન્માભિષેક, દીક્ષાભિષેક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક, સિદ્ધચક્ર તથા ઋષિમંડળ જેવા પટ-પ્રસંગોથી દીવાલો શોભે છે. જિનાલયની પ્રતિષ્ઠા અંગેનો એક લેખ કોતરવામાં આવ્યો છે. તે લેખ તથા ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી અનુસાર અગાઉ કૈલાસનગરના ફલેટમાં ગૃહજિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં જૈનોની સંખ્યા વધતા મજૂરાગેટ રોડ પર જમીન લઈ શ્રી અશોકસાગરગણિવર્ય(હાલ આચાર્ય)ની પ્રેરણા તથા ઉપદેશથી સં. ૨૦૩૬માં ઉપાશ્રયની પાસે જ નૂતન જિનાલયના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો. પૂ. અશોકસાગર ગણિવર્ય(હાલ આચાર્ય)ની નિશ્રામાં સં૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે શીલા સ્થાપનની વિધિ કરવામાં આવી. અર્બુદગિરિ(આબુથી)થી લાવવામાં આવેલ શ્રી આદેશ્વરની પ્રતિમા અહીં સં૨૦૪૪ના માગશર વદ ૧ને રવિવારે મૂળનાયક તરીકે બિરાજિત કરવામાં આવી. અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા શ્રી દેવેન્દ્રસાગરસૂરિના હસ્તે થઈ. મૂળનાયકની પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી બાબુભાઈ સંઘવી પરિવારે લીધો. ઉપરના માળે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ મુદ્રાવાળી શ્યામ પ્રતિમાની અંજનશલાકા શ્રી અશોકસાગરજીએ કરી અને પ્રતિષ્ઠાનો લાભ શ્રી મફતલાલ કકલચંદ મહેતા પરિવારે (પાલનપુરવાળા) લીધો.
ત્રણ ગર્ભદ્વાર છે. ૨૩” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા નયનરમ્ય છે. પ્રતિમાલેખ નથી. કુલ સાત આરસપ્રતિમા છે તથા છ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે. ડાબે ગભારે શાંતિનાથ તથા જમણે ગભારે શંખેશ્વર પાર્શ્વનાથ છે.
ઉપરના માળે શિખરમાં મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની ૩૭” ઊંચી કાઉસગ્ગ મુદ્રાવાળી શ્યામ આરસપ્રતિમા છે. પાછળની દીવાલે ઐરાવત તથા ચામર વીંઝતા ઇન્દ્રોના રંગકામયુક્ત આરસના શિલ્પો છે તેથી ગભારો આકર્ષક લાગે છે. અહીં નંદીશ્વર દ્વીપ તથા ગિરનારના પટ છે. ભટેવા પાર્શ્વનાથ તથા શંખેશ્વર પાર્શ્વનાથના મોટા ફોટા છે.
જિનાલયનો વહીવટ શ્રી આદેશ્વર જૈન દેરાસર કૈલાસનગર ટ્રસ્ટ – શ્રી ગેનમલજી વીરચંદજી શાહ તથા શ્રી અમરતલાલ કેશવલાલ શાહ હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org