________________
શ્રી સોભાગભાઈનું અપૂર્વ સમાધિમરણ
શ્રી સોભાગભાઇના ધાર્યા કરતા એક દિવસ મોડો વિ.સં. ૧૯૫૩ ના જેઠ વદ દશમના દિવસે સમાધિસ્થ ભાવે દેહ ત્યાગ થયો. પૂ. શ્રી સોભાગભાઇના સમાધિમરણ વખતે હાજર રહેલા રાજરત્ન અંબાલાલભાઇએ પરમ કૃપાળુદેવને સાયલાથી જેઠ વદ ૧૧ શુક્રવાર ૧૯૫૩ ના તે અંતિમ સમયનું તાદશ્ય વર્ણન કરતા લખ્યું. કે, “હે પ્રભુ! બેહદ દિલગીર છું કે પરમપૂજ્ય, પૂજવાયોગ્ય, પરમસ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સોભાગભાઇ સાહેબે પરમ સમાધિભાવે, શુધ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરૂષની દુ:ખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરૂ પ્રત્યેનો એકનિષ્ઠાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એ એક જ ક્રમ જોઇ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે.” દશ વાગતા માથાશ્વાસ થયો. અત્યંત પીડા છેવટની વખતની પોતે ભોગવવા માંડી. તેથી ૧૦ ને ૪૮ મિનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુ:ખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઇની સલાહ લઇ મેં સહજાત્મ સ્વરૂપ સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા, ‘હા એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે.” એટલા વચન બોલ્યા ને સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તરત પોતે ડાબુ પડખું ફેરવ્યું અને સવારે ૧૦ ને ૫૦ મિનીટે પોતે નશ્વર દેહનો ત્યાગ કર્યો.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
ર