________________
સામાન્ય જિજ્ઞાસુઓ તે તે કાળે ઉપસ્થિત થતાં પ્રશ્નો પૂછાવતા હોય છે, અને ઉત્તરદાતા પણ તે તે કાળને અનુલક્ષીને તેના ઉત્તરો આપતા હોય છે. આમ છતાં પૂજ્યશ્રીએ આ શંકા-સમાધાનમાં શાસ્ત્રાધારે સમાધાન આપવાનું ઉચિત ગણી શક્ય તેટલું સમાધાન શાસ્ત્રાધારે આપ્યું છે. લગભગ ૧૧ વર્ષ સુધી “કલ્યાણ' માં આવેલા શંકા-સમાધાન વિભાગને તે-તે વિષયનું સર્વાગી સમાધાન એક સાથે મળી રહે તે માટે વિષયવાર વિભાગ કરી આપવાની કોશિષ કરી છે. આમ છતાં આમાં ક્યાંક ક્ષતિ રહેવા પામી હોય એ સુશક્ય છે. આવી કોઇ ક્ષતિ ધ્યાનમાં આવે તો મને જણાવવા વાંચક વર્ગને વિનંતી કરું છું.
સૌ કોઇ આ શંકા-સમાધાન પુસ્તકનું વારંવાર વાંચન કરે અને પોતાના મનમાં ઉદ્ભવતી શંકાનું સમાધાન કરે એ જ અભિલાષા...
- રાજશેખરસૂરિચરણકિંકર મુનિ ધર્મશેખરવિજયગણી
વિમોચન નિમિત્ત પૂજ્યશ્રી પાલીતાણામાં ઓશવાળ યાત્રિક ગૃહમાં વિક્રમ સંવત ૨૦૬૭ ચૈત્ર વદ-૪, ગુરુવાર, તા. ૨૧-૦૪-૨૦૧૧ ના રોજ કાળધર્મ પામ્યા અને પાલીતાણામાં જ શ્રી કસ્તુરધામ - નિલમ વિહારના પરિસરમાં પૂજયશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો તે જ સ્થળે પૂજ્યશ્રીનું ગુરુમંદિર બન્યું અને આજ રોજ એટલે કે વિક્રમ સંવત ૨૦૬૮, પોષ વદ-૧૩, શનિવાર, તા. ૨૧-૦૧-૨૦૧૨ ના ગુરુમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. આ નિમિત્તને પામીને પૂજ્યશ્રીનું આ શંકા-સમાધાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.