________________
અભિવાદન ગ્રંથ |
[ ૩૨૩
ત્રણ ભરડા લીધા. એના કંઠ પર, ગળા પર કાળકૂટ વિષનો ડંશ દીધો. કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી, આત્માને નહીં. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. દેવતાના ડરાવવાના અને લોભાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યો.
એણે મહાશ્રાવક કામદેવને પ્રણામ કર્યા અને “મને ક્ષમા આપો, ભગવાન મહાવીરસ્વામીના ધર્મમાર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દઢ ઉપાસક છો. તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે.” કહી
મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધિપદને પામ્યા.
ઇરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિ સ્થાપનાર સંપ્રતિ મહારાજા કે પછી જૈન ગુરુ, જૈન ધર્મ અને જૈન ભગિની ધરાવનાર ગુજરાતના ચાવડા વંશના સ્થાપક વનરાજને કઈ રીતે ભૂલી શકાય? પરમહંત શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં વિખ્યાત મહારાજા કુમારપાળે પચાસમા વર્ષે ગુજરાતની ગાદી મેળવી.
કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજયમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પ્રસરાવી કે, “પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.'
અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. પાડોશી અને ખંડિયા રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. ધર્મ નિમિત્તે અને ભોજન નિમિત્તે એમ બન્ને પ્રકારે થતી જીવહિંસાનો નિષેધ કર્યો. કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ પણ બંધ કરાવ્યો. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે કતલખાના બંધ કરાવ્યાં. પશુપડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે.
મહામંત્રી શાંતુ અને સેનાપતિ આભૂની વીરતા, ધરણાશાહ, મોતીશા અને કર્મશાહની ધર્મભાવના કઈ રીતે ભૂલી શકાય?
જૈન શ્રાવિકાઓનાં પણ એકેકથી ચડિયાતાં ચરિત્રો મળે છે. તિલકમંજરીની સ્મરણશક્તિ, ચાંપલદેની ચતુરાઈ, આબુનાં શિલ્પો સર્જનાર અનુપમાદેવી, સતીત્વનું તેજ બતાવનાર સોનલ કે મોદી પત્ની અને ભગવાન મહાવીરના સમયની ઉત્તમ શ્રમણોપાસિકા જયંતિ તેજસ્વી શ્રાવિકાઓના ગુણો ધરાવે છે.
ધર્મ ધબકે છે આરાધકોના અંતરમાં. છેક પ્રાચીન કાળથી આજ સુધી જૈન પ્રતિભાઓના તેજવી જીવનમાં જોવા મળતો પ્રકાશ એ ધર્મદીપકમાંથી પ્રગટેલું પવિત્ર, પાવન ને પ્રેરણાદાયી અજવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org