________________
જૈનધર્મ
૬૫
સાધુ-સાધ્વીઓ પાસે ધર્માભ્યાસ કરે છે. જ્ઞાનગોષ્ઠીઓ યોજાય છે. તત્વજ્ઞાનના વર્ગો ચાલે છે.
ચાતુર્માસના સમયમાં ઉપાશ્રય આરાધકોની સતત આરાધનાથી ગૂંજતો અને ગાજતો રહે છે.
સુખી અને સંપન્ન ભાવિકોના દાનથી ઉપાશ્રય બાંધવામાં આવે છે. સ્થાનિક સંઘ તેનો વહીવટ કરે છે.
જૈન જ્ઞાનમંદિર
પુસ્તકાલય, ગ્રંથાલય માટે જૈનો ‘જ્ઞાનમંદિર’ શબ્દનો ઉપયોગ કરે છે. ‘જ્ઞાનમંદિર’માં શબ્દની યથાર્થતાનો અનુભવ થાય છે. તેમાં સમય પસાર કરવા માટેના કે મનોરંજન માટેના પુસ્તકો નહિ, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ, જીવનચરિત્ર વગેરે જ્ઞાનની વિવિધ શાખાઓના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ હોય છે.
પહેલાં પુસ્તકો તાડપત્રો પર લખાતા હતા. વિશિષ્ટ કાગળ પર વિશિષ્ટ શાહીથી પુસ્તકો લખાતા. આ જ્ઞાનમંદિરોમાં એવા તાડપત્રો અને હસ્તપ્રતોનો કાળજીપૂર્વકનો સંગ્રહ હોય છે. ખંભાત, લીંબડી, ડભોઇ, અમદાવાદ, પાટણ, જેસલમેર, બિકાનેર આદિ શહેરોમાં એકથી વધુ જ્ઞાનમંદિરો કે જ્ઞાનભંડારો છે. તે દરેકમાં પ્રાચીનતમ ગ્રંથો, તાડપત્રો, હસ્તપ્રતો ઉપલબ્ધ છે. તેમાં ઇસુના હજારેક વરસ પૂર્વેની પણ પ્રતો પ્રાપ્ત છે. જૈન સંસ્કૃતિના ગ્રંથો અને પ્રતો તો તેમાં છે જ, ઉપરાંત વેદ સંસ્કૃતિ અને બૌદ્ધ–સંસ્કૃતિના પણ અલભ્ય ગ્રંથો અને પ્રતોનો સંગ્રહ છે.
સાધુ-સાધ્વીજીની પ્રેરણાથી, આવા જ્ઞાનમંદિરો ઊભા થયા છે અને થાય છે. સ્થાનિક સંઘ તેની સંભાળ રાખે છે. કેટલાંક વ્યક્તિગત માલિકીનાં પણ જ્ઞાનમંદિર કે જ્ઞાનભંડાર છે.
જૈન સંસ્કૃતિને સમગ્રતયા જાણવા સમજવા માટે આ જ્ઞાનભંડારો મહત્ત્વની અને મબલખ સામગ્રી પૂરી પાડે છે. અમદાવાદ ખાતેનું લાલભાઈ દલપતભાઇ ભારતીય પ્રાચ્યવિદ્યામંદિર એક વિશિષ્ટ જ્ઞાનમંદિર છે. તેમાં સંશોધન અને પ્રકાશનનું કાર્ય પણ થાય છે. દેશ અને વિદેશના વિદ્વાનો આ જ્ઞાનભંડારોની મુલાકાત લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org