________________
પ્રસ્તાવના
ભારતીય પરંપરાના આચાર્યો અને મહર્ષિઓએ માનવ-જીવનના ચાર પુરુષાર્થ કહ્યાં છે : ધર્મ-અર્થ-કામ અને મોક્ષ. ધર્મને પ્રથમ મૂક્યો છે, કારણ કે તેને આગળ રાખીને જ બાકીના પુરુષાર્થ સારી રીતે સિદ્ધ થઈ શકે છે અને જીવન સદ્ગુણસંપન્ન, શાંતિમય અને સફળ બને છે. આ પુસ્તકમાં ધર્મનું મૂળ જે આત્મદર્શન તે વિષે ટૂંકી અને મુદ્દાસર રજૂઆત કરવાનો પ્રયત્ન કરેલ છે.
આપણા ઉપરોક્ત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને વિસરી જવાથી અથવા તે પ્રત્યે બેદરકાર બની જવાથી આપણા જીવનનું ધ્યેય શું છે તે મોટા ભાગે આપણે નક્કી કર્યું નથી; અને તેથી આપણી પ્રવૃત્તિની દિશા અનેદશા પણ અનિશ્ચિત છે. મનમાં જે વિચારો આવે તેમ કરીએ છીએ; અથવા દુનિયાના લોકો જેમ કરતા હોય તેમ વગર વિચાર્યે જીવન જીવીએ છીએ (ઢસરડો કરીએ છીએ); અને તેથી મોટા ભાગે ચિંતામાં, વ્યગ્રતામાં અને દેખાદેખીમાં જીવન વીતી રહ્યું છે, જીવનનો વ્યય થઈ રહ્યો છે(!), તેનું ભાન પણ નથી.
વિચારવાન પુરુષો કહે છે કે આપણે શાશ્વત સુખની જ શોધમાં છીએ અને તે સુખ, જીવન વિશેની સાચી સમજણ અને તેને અનુરૂપ નિયમિત પ્રવૃત્તિ અને શાંત તેમજ પવિત્ર વિચારો દ્વારા ક્રમે ક્રમે પ્રાપ્ત થઈ શકે છે. આવી જીવનશૈલી બને તે માટે સજ્જનો અને સદ્ગુણસંપન્ન મનુષ્યોની સોબત, ઉત્તમ ગ્રંથોનું વાચન અને અવારનવાર કોઈ સાચા સંતપુરુષના વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર છે. આવી શ્રદ્ધા થાય તે માટે શું સમજણ ક્યાંથી પ્રાપ્ત કરવી અને તેને અનુરૂપ કેવું જીવન જીવવું તેનું અનુભવસિદ્ધ સંક્ષિપ્ત માર્ગદર્શન આ નાની પુસ્તિકામાં છે; જે શાંતિપૂર્વક વાંચવા વાચકવર્ગને ભલામણ છે.
અત્રે, નિરૂપણશૈલી મહાવીરપ્રભુના બોધને તથા પૂર્વાચાર્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org