________________
માયાપૂર્વક વિષના મોદક બનાવી અગ્નિશર્માને પાટલિપુર મોકલ્યો. પાટલીપુરની ભાગોળે થાકેલો તે અગ્નિશર્મા સૂતો છે ત્યારે આરામશોભાનો હિતેચ્છુ “નાગકુમાર” દેવ ત્યાં આવ્યો, તેણે દૈવીશક્તિથી વિષમોદકને બદલે ઉત્તમદ્રવ્યોના પુષ્ટિકારક મોદક બનાવ્યા. જે મોદક જમતાં જિતશત્રુ રાજા, આરામશોભા તથા તેનો સમસ્ત પરિવાર અતિશય પ્રસન્ન થયો, અને આરામશોભાના પિયરપક્ષ ઉપર બહુમાનવાળો થયો. આરામશોભાની શોક્યમાતા વિલખી થઈ. તેણીએ ફરીથી બીજીવાર, ત્રીજીવાર, વિષમિશ્રિત મોદક મોલ્યા, નાગકુમારે તે મોદક પરિવર્તિત કર્યા. આરામશોભાને મારી નાખવાનો કોઈ ઉપાય શોક્યમાતાનો સફળ થયો નહીં. એટલામાં આરામશોભા ગર્ભવતી બની. તેની શોક્યમાતાએ પ્રસવક્રિયા નિમિત્તે આરામશોભાને પોતાને ઘેર તેડી લાવવા પોતાના પતિ અગ્નિશર્માને રાજા પાસે મોકલ્યા. રાજાએ આરામશોભાને બ્રાહ્મણના ઘરે મોકલવાની ના કહેતાં અગ્નિશર્માએ છરીથી આપઘાત કરવાનો ભય દાખવ્યો, તેથી રાજાએ પરિવાર સાથે આરામશોભાને તેના પિતા સાથે પિયર મોકલી. સુંદર બગીચો પણ તેણીની સાથે ગયો. શોક્યમાતા અતિશય હર્ષિત થઈ, શોક્યમાતાએ પોતના ઘરના પાછળના ભાગમાં એક સુંદર કૂવો કરાવ્યો. તથા પોતાની યુવાન પુત્રીને પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધી. આરામશોભાનાં સર્વ કાર્યો નોકરની જેમ શોક્યમાતા કૃત્રિમ પ્રેમ બતાવતી છતી કરે છે. ગર્ભકાળ પૂર્ણ થયે છતે સર્વ અંગે સુંદર એવા એક પુત્રને આરામશોભાએ જન્મ આપ્યો. આરામશોભા શારીરિક ક્રિયા નિમિત્તે ઘરના પાછળના ભાગમાં ગઈ. અપૂર્વ કૂવો જોયો. માતાને પૂછ્યું, માતાએ કહ્યું કે, તમને પીવા માટેનું પાણી બહારથી લાવતાં કદાચ વિષમિશ્રિત આવી જાય. એટલા માટે પીવાના પાણી સાર આ કૂવો બનાવ્યો છે. પાસે જઈને જેટલામાં આરામશોભા કૂવાનું ઊંડું તળીયું અને પાણી જોવા જાય છે તેટલામાં પાસે ઉભેલી શોક્યમાતાએ તેને ઉંચકીને કૂવામાં અધોમુખે ફેંકી. આપત્તિમાં આવેલી આરામશોભાએ નાગદેવનું સ્મરણ કર્યું. તે દેવે તેણીને અડધેથી જ ઉંચકી લઈ કૂવાની અંદર પાતાળમાં એક સુંદર ભવન બનાવીને ત્યાં રાખી. બગીચો પણ ત્યાં તેના ભવનની આજુબાજુ સ્થિર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org