Book Title: Vachanamrut 0927 PSY Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331053/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 927 યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે વવાણિયા, વૈશાખ વદ 0)), 1956 પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યઝષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદ્રષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. ‘હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.