Book Title: Vachanamrut 0690
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330812/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 690 જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી મુંબઈ, બીજા જેઠ સુદ 2, શનિ, 1952 મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય, કેમકે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫ર ના આસો માસની પૂર્ણતા સુધી કે સં. 1953 ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્યત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે, ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સલ્ફાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે, અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી.