Book Title: Vachanamrut 0631 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330752/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 631 પ્રથમ પદમાં એમ કહ્યું છે કે વિવાણિયા, શ્રાવણ વદ 14, સોમ, 1951 પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે ? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. બીજા પદનો સંક્ષેપ અર્થ : “હે મુમુક્ષ યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્વ કહ્યું છે.'