Book Title: Vachanamrut 0249 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330369/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 249 કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી મુંબઈ, જેઠ સુદ 7, શનિ, 1947 ૐ નમ: કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સપુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દ્રઢ માને છે; અને આર્યવને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે. મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયું અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.