Book Title: Vachanamrut 0207 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330327/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 207 ખરા ધર્મ અને જ્ઞાન - પરમાર્થ પ્રીતિ થવા સત્સંગ - વિકટ પુરુષાર્થ - સતને બતાવનાર મુંબઈ, માહ વદ 0)), 1947 કોઈ જાતની ક્રિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તોપણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પરિણામે ‘સત’ને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં ‘સત’ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાનો પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરવો; તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે. જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં ‘વૈતાલીય’ અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે; જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઇચ્છું છું. આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ‘ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ(સંદેહ)નું મંદત્વ થતું નથી, માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણો “સંદેહ' કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ‘સંદેહ' કેમ જાય ? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય ? મિથ્યાદ્રષ્ટિ છે કે સમ્યફદ્રષ્ટિ ? સુલભબોધી છે કે દુર્લભબોધી ? તુચ્છસંસારી છે કે અધિકસંસારી ? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.” ‘સત’ સત જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત'ને બતાવનાર ‘સત’ જોઈએ. Page #2 -------------------------------------------------------------------------- ________________ નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે ? માટે નયાદિકમાં સમતાવાન રહેવું, જ્ઞાનીઓની વાણી ‘નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! વિશેષ કોઈ પ્રસંગે.