Book Title: Tirthraksha na Karne Shu Hinsak Marg Apnavavo Shu Uchit Che Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf Catalog link: https://jainqq.org/explore/249407/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૧૧. તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે? (“પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-'૬૮ના અંકમાં પ્રગટ થયેલ શ્રી જેઠાભાઈ હીરજી મેપાણીના, જૈનોના તીર્થવિષયક ઝગડાની ચર્ચા કરતા પત્રના અનુસંધાનમાં પંડિત બેચરદાસ જીવરાજ તરફથી મળેલો પત્ર નીચે આપવામાં આવે છે. –તંત્રી) સ્નેહીશ્રી પરમાનંદભાઈ અમદાવાદ ૫-૫-'૬૮ “પ્રબુદ્ધ જીવન'ના મે મહિનાની પહેલી તારીખના અંકમાં ભાઈશ્રી જેઠાભાઈ હીરજી મેપાણીનો પત્ર છે. તેમાં એમ જણાવેલ છે કે “એ તો કોઈ વિધર્મી આપણા કોઈ તીર્થનો નાશ કરવા આવી ચઢે અને તેનો પ્રતિકાર કરવામાં આવે. તેને તીર્થરક્ષાના નામથી ઓળખાવી શકાય અને તે માટે હિંસા કરવી પડે તો દોષરૂપ નહીં લેખાતી હોય.” આ અંગે નમ્રતાપૂર્વક જણાવવાની રજા લઉં છું કે જૈન ધર્મમાં આંતરિક અહિંસા પ્રધાન ગણાયેલ છે, એટલે કે આત્માર્થી મનુષ્ય કષાયો, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા વગેરે કષાયોને ઓછા કરવા અને મોળા પાડવા એ જ જીવનનો પ્રથમ ઉદ્દેશ છે. જો શાંતિ મેળવવી હોય અને તે પણ વ્યક્તિગત શાંતિ કે સમાજગત શાંતિ કે દેશગત શાંતિ મેળવવી હોય તો કષાયોને મોળા પાડવા; આ જ હેતુને લક્ષમાં રાખીને તમામ કર્મકાંડો યોજાયેલ છે. પણ કમનસીબે આ બાબતનો આપણા ઉપદેશક-વર્ગને ખ્યાલ આવતો નથી. અને તીર્થરક્ષા માટે બલિદાન આપો, એમાં હિંસા નથી એવી આત્મઘાતી અને સમાજઘાતી સલાહ આપવા તૈયાર થાય છે. તીર્થરક્ષા કરવાનું પ્રયોજન તો એ છે કે તીર્થની એકાગ્ર ઉપાસના દ્વારા ઉપાસકોના કપાયો મોળા પડે અને આત્મા શાંત બને, સમભાવી બને અને બીજા પણ શાંત અને સમભાવી બને એ માટે નિમિત્તરૂપ થાય. કષાયો વધારીને અને એક બીજા માનવની હત્યા કરીને તીર્થરક્ષા થઈ શકે નહીં, Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે? * 97 અને આવું વિધાન પણ જૈન ગ્રંથોમાં કયાંય જોવા મળે તેમ નથી. અજવાળાને સાચવવા અંધારાનો ઉપયોગ કરવા જેવી આ હિંસાની વાત છે. એટલે જે લોકો “તીર્થરક્ષાના બહાના નીચે હિંસા કરવામાં દોષ નથી” એમ કહે છે તે જૈન ધર્મનો ઉદ્દેશ જ ભૂલી જાય છે અને પોતે કષાયવાળા હોવાથી તેમને હિંસાનો જ ઉપાય જડે છે અને એ ઉપાય કરવામાં દોષ નથી એમ કહેવા લાગે છે. ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદશ્રાવકે સમકિતના વ્રત માટે એવી પ્રતિજ્ઞા કરેલ છે કે જે અરિહંતચૈત્યો અન્યતીર્થિકોએ લઈ લીધાં છે તે અરિહંત ચૈત્યોનો ઉપયોગ નહીં કરું. ખરેખર અન્યતીર્થિકોએ પચાવી પાડેલાં અરિહંતચૈત્યોને પાછાં મેળવવા લડાઈ કરવાની હોય અને તેમાં હિંસાનો પણ પ્રયોગ કરવો ઉચિત ગણાતો હોય તો આનંદ શ્રાવક આવી પ્રતિજ્ઞા નહીં જ કરત, પણ એવી પ્રતિજ્ઞા કરત કે અન્યતીર્થિકોએ લઈ લીધેલાં અરિહંતચૈત્યોને પાછા મેળવવા લડાઈ કરીને પ્રયત્ન કરું. એટલે તીર્થરક્ષા માટે હિંસાને નામે બલિદાનની વાતો કરનારા ભગવાન મહાવીરના સિદ્ધાંતને પાયામાંથી જ સમજતા નથી અને સ્વચ્છેદે પોતાની કપાયપ્રધાન વૃત્તિનું જ તીર્થરક્ષાને નામે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રકાશને સાચવવા માટે અંધારાનો પ્રયોગ કરવો એ તદન મૂર્ખતાભરેલી વાત છે. આપણો સમાજ ગતાનુગતિક છે; કોઈ આ અંગે સ્થિર શાંતભાવે વિચાર કરવા નવરું જ નથી અને સાધુનાં કપડાં પહેરલા લોકો જે કહે તેને વગર વિચાર્યું “હા, હા' કરવા મંડી પડે છે, જેના પરિણામો આજ સુધી ભારે અનિષ્ટ આવેલાં છે અને પછી પણ અનિષ્ટ આવનારાં છે. બીજું તો ઠીક, પણ પૂ. ગાંધીજીએ અહિંસક પ્રવૃત્તિ દ્વારા જે નમૂનો પૂરો પાડ્યો છે અને જે આપણને સૌને પ્રત્યક્ષ છે, એ અંગે પણ સાધુઓનું ધ્યાન જતું નથી એ કેવું આંતરિક આંધળાપણું છે, એ પણ વિચારવાની વાત છે. આપણે ત્યાં તો જાહેરખબરોનું જ મહાભ્ય છે, પણ મુખ્ય મુદ્દાનું નથી. - આપનો બેચરદાસ - પ્રબુદ્ધ જીવન, 1968