Book Title: Parvadhiraj Paryushan 02
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249481/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ - ૨ એક ઋતુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એવો જીવનક્રમ ઘણાંનો હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણા, નવું ચેતન અને નવો ઉત્સાહ દાખવનારાં, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્યો પણ ઓછાં નથી હોતાં. ઘટનાક્રમ જૂનો હોય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હોય, પર્વ એનું એ હોય પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હોય એ પણ એક સદ્ભાગ્ય છે. કોઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ ભોજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દોષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ એ દોષ નથી, બલકે ઇષ્ટ અનિવાર્યતા છે. ‘પર્વનુ' શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે “પવિત્ર દિવસ' અથવા “તહેવાર'. (બીજા અર્થો છે : “પર્વ” એટલે ગ્રંથનો ભાગ; પર્વ એટલે શેરડીનો બે ગાંઠા વચ્ચેનો ભાગ). સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તો, પર્વ” અને “તહેવાર વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કોઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા કોઈ એક દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર, અને દર મહિને, ચાર મહિને કે વર્ષે નિયમિતપણે, સામુદાયિક આરાધના સાથે જ ઊજવાય તે પર્વ. મહાવીર જયંતી કે ગાંધી જયંતી એ તહેવાર છે ને જ્ઞાનપંચમી કે પર્યુષણા એ પર્વ છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર” અને “પર્વ” એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. પર્યુષણા' (પરિ + ઉષ) શબ્દનો અર્થ થાય છે સારી રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્કૂલ રીતે સ્થિર થવા ઉપરાંત આત્મામાં સ્થિર થવા માટે વિશેષ ભાર આ આધ્યાત્મિક પર્વમાં મૂકવામાં આવ્યો છે. જીવદયા, દાન, Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ બ્રહ્મચર્ય, અઠ્ઠમ વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત, જિનપૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સલ્ય, શ્રુતશ્રવણાદિ જ્ઞાનારાધના, ચૈિત્યપરિપાટી ઇત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે “પુણ્યનાં પોષણાં, પર્વ પર્યુષણાં'. શ્રાવણ મહિનો એટલે પર્વોનો મહિનો. વર્ષાઋતુમાં જ્યારે ઘણોખરો વરસાદ પડી ચૂક્યો હોય, ખેતીમાં કામે લાગેલાં માણસો જ્યારે લગભગ નિવૃત્ત થઈ ગયેલાં હોય, સફર માટે સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હોય, નદી કે નાળાંનાં પૂર સરી ગયાં હોય, વાતવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં આમતેમ છૂટાંછવાયાં વાદળાં ટહેલતાં કે ઘડીક વરસતાં હોય એવા વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અનેરો ઉલ્લાસ અનુભવે છે. ચોમાસાના ચાર મહિનામાં આ એવો ઉત્તમ કાળ છે કે જ્યારે માણસ સમય ફાજલ પાડીને ઉત્સવમાં ભાગ લઈ શકે છે, આરાધનામાં જોડાઈ શકે છે. ઉત્સવ એ મનુષ્ય-જીવનનું મોટામાં મોટું પ્રેરક બળ છે. ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં ભળે, અનેક લોકો સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક ચેતનાનો વિસ્તાર અને વિકાસ, ઉત્સવ ન હોય તો મનુષ્યજીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. કટાઈ જતા જીવનને ઉત્સવ નવો ઓપ આપે છે. ભારતીય પરંપરામાં ભોગ ને ત્યાગ બંનેનું મહત્ત્વ સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભોગ (તેન ચના મુંનથા) ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ કરતાં સહેતુક ભૂખ્યા રહેવાનો આનંદ ઘણો ચઢિયાતો છે, એની પ્રતીતિ તો જેઓ એવું આચરે છે તેમને વિશેષ હોય છે. આપણાં પર્વોમાં ખાદ્ય પદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા દેહને રીઝવવાનાં જેમ કેટલાંક લૌકિક પર્વો છે, તેમ ત્યાગ ને સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં લોકોત્તર પર્વો પણ છે. પર્યુષણ પર્વનો મહિમા લોકોત્તર પર્વ તરીકેનો છે. જીવની એ ખાસિયત છે કે જો તે જાગ્રત ન રહે તો ઘડીકમાં પ્રસાદી અને મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું કાર્ય છે. પર્યષણ પર્વ Page #3 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ - ૨ ૧૦૧ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે. પર્વનું જો આયોજન ન હોય તો ગમે તે માણસ ગમે તેટલું સારું કાર્ય કરે તો પણ એનો સામાજિક પ્રભાવ બહુ પડતો નથી. અનેક માણસો એકસાથે આવા કાર્યમાં જોડાય છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે અને એનો સામાજિક પ્રભાવ ઘણો મોટો પડે છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈનોમાં ઉપવાસ વગેરે પ્રકારની છે નાની-મોટી તપસ્યા કરવામાં આવે છે એનો જો સરવાળો કરવામાં આવે તો આત્મશુદ્ધિના કાર્યમાં એનું કેટલું મોટું યોગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂર હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (સમ દાર સમ દબંન) તો પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવર્ષ આ પર્વ દ્વારા ઘણું મોટું કાર્ય થાય છે એમ સ્વીકારવું જ પડશે. ધર્મની આરાધના દાન, શીલ, તપ અને ભાવ – એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શક્તિ ને રૂચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પર્યુષણ પર્વનું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પોતાના દોષો માટે ક્ષમા માગવી અને બીજાને એમના દોષો માટે ક્ષમા આપવી એ સરળ વાત નથી. ક્યારેક તેમાં પારંપરિક ઉપચાર રહેલો હોય છે તો પણ એકંદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન સુસંવાદી ને સ્નેહમય બને છે. શાસ્ત્રકારો કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધી - મુક્તિ સુધી – પહોચવામાં આ ક્ષમાપનાનું તત્ત્વ જ વધુ સહાયરૂપ થાય છે. પર્વની ઉજવણી દરમિયાન વખતોવખત એક યા બીજી વાતનો અતિરેક થઈ જતો હોય છે. પર્વોની ઉજવણી પણ સમતોલ રહ્યા કરે, અતિરેક થાય તો તે શુભ તત્ત્વોનો ઇષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના - ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના - સૂત્રધારોએ લક્ષ આપવું જોઈએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતો હોય ત્યારે એવી દોરવણીની ઘણી અપેક્ષા રહે છે. પર્વ આનંદોત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વર્ગો વચ્ચે ક્લેશકંકાસ કે ઈર્ષા-નિદાનું નિમિત્ત બને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાનો ભાવ વધુ આવી જાય છે. એના જેવું દુર્ભાગ્ય કર્યું હોઈ શકે? પર્વદિન વેપારી કે નોકરિયાત માણસો માટે જો નિવૃત્તિદિન હોય, વિદ્યાર્થીઓને માટે રજાનો દિવસ હોય, તો પર્વની ઉજવણીમાં બધાં સારી રીતે Page #4 -------------------------------------------------------------------------- ________________ 102 જિનતત્ત્વ ભાગ લઈ શકે. તહેવારો માત્ર ધાર્મિક જ હોય એવું નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવા જોઈએ. પરંતુ આપણી સરકારો સૈકાઓથી ઊજવાતા આવેલા એવા કેટલાક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવારોની રજા રદ કરીને કેટલાક રાજકીય તહેવારોનો ઉમેરો કરે છે તે યોગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવારો તરત વાસી બની જશે. માત્ર સરકારી દફ્તરો ને કેલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમનો હિસ્સો ખાસ નહિ હોય. સૈકાઓથી ઊજવાતા આવેલા મોટા ધાર્મિક તહેવારોની રા રદ કરવાથી એકંદરે તો આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહોંચે છે. રજાના સમયનો કેટલાક લોકો દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખોટી નથી, તો પણ કામના કલાકોનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મોટાં ધાર્મિક પર્વોની રજા રદ કરવાની જરૂર ન પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણો અને વિષમ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનારાં પરિબળોમાં આપણા ધાર્મિક પર્વોનું યોગદાન ઓછું નથી.